અમરેલી

સાવરકુંડલામાં વિશ્ર્વ ગ્રાહક દિન નિમિત્તે અહીંનીસરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

પંદરમી માર્ચ એટલે વિશ્ર્વ ગ્રાહક દિન.. આ દિવસે સમગ વિશ્ર્વમાં ગ્રાહક સુરક્ષા સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. એ સંદર્ભે સાવરકુંડલા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા પે-સેન્ટર શાળા નંબર-એકના વિશાળ સભાખંડમાં પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
સાવરકુંડલાની આ શાળાના કર્મઠ શિક્ષક હિતેશભાઈ જોષી દ્વારા સમગ્ર કાર્યક્રમ સંદર્ભે આ સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશી દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે માહિતી આપવામાં આવી હતી.. આ સાથે તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના સેક્રેટરી એસ. એમ. ટાંક દ્વારા પણ વિદ્યાર્થીઓને કાનૂની સમજ આપવામાં આવી હતી. તમામ વકતાઓને આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ રસપૂર્વક અને શાંતિથી સાંભળયા હતાં અને જરૂર જણાય ત્યાં વકતાઓએ પૂછેલા સવાલના જવાબ પણ આપ્યા હતા. નોંધનીય બાબત એ હતી કે આ શાળામાં ચાર વાગ્યે વાલી મિટિંગ હોય આ કાર્યક્રમમાં જ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની પણ હાજરી જોવા મળી હતી.
કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે માહિતી આપતા પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અંતમાં ઉપસ્થિત તમામ વકતાઓ વતી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ આચાર્ય તથા શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
એકંદરે વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણી ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

Related Posts