હે મેઘરાજા હવે તો વરસો.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં લગભગ સાડા આઠ આસપાસ ઝરમરિયા વરસાદી છાંટણાં થયાં. બીજા શબ્દોમાં કહીએ તો વરસાદી વાતાવરણ જેવો ડોળ થયો. થોડો ઝરમરિયો થયો. પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજુ નથી વરસ્યો. છેલ્લા એક માસથી વધુ સમયથી સૂકી ભઠ ધરતીની પ્યાસ ઝરમરિયાથી ન બુઝાઈ એ પણ સ્વાભાવિક છે. અને આજે તો સાવ કોરું ધાકોડ. માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સમગ્ર તાલુકામાં વરસાદના કોઈ વાવડ જોવા નથી મળ્યા. આવા ડોળાયેલ વાતાવરણને કારણે ભૂમિપુત્રોમાં ચિંતા પ્રસરતી જોવા મળી છે
આમ નજર સામે પોતાની મોલાતને સુકાતી જોઈને ખેડૂતોનાં કાળજા બળી જાય છે એકાદ બે દિવસમાં જો સારો વરસાદ થાય તો વળી સૂકાતી મોલાતને કદાચ થોડું ઘણું જીવનદાન મળે અને ખેડૂતોને પણ રાહત મળે. જો કે વાતાવરણમાં છૂટાછવાયા વાદળો છવાયેલા જોવા મળી રહ્યાં છે. પરંતુ વરસાદ વરસવાના કોઈ એંધાણ જોવા નથી મળતાં.. તહેવારોના ખુશાલીના પર્વ હોવા છતાં ખેડૂતો અને ખેતમજૂરોમાં ખુશીનો માહોલ જોવા નથી મળતો. ક્યાંથી મળે? ખેડૂતો અને ખેત મજૂરોને તો ખેતી આધારિત રોજગારી હોય.. અને વરસાદ જ ન હોય તો ખેતરો ઉજ્જડ ભાસે..આમ આકાશી રોજી પર નિર્ભર પરિવારોને તો આવી પરિસ્થિતિમાં શું વાર કે શું તહેવાર?
Recent Comments