ગુજરાત

સુરતમાં જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાથી મોત, ૧૯ દિવસ વેન્ટિલેટર પર રહી બાળક સ્વસ્થ થયો

કોરોનાગ્રસ્ત માતાની કુખે જન્મેલું નવજાત બાળક ક્રિટિકલ કન્ડિશનમાં મોત સામે સતત ૧૯ દિવસ ઝઝૂમ્યાં બાદ સાજું થઈને ઘરે ગયું હતું. જન્મના સમયે માતાને ગુમાવનાર નવજાતને બચાવવા માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ ભરપૂર પ્રયાસ કર્યા હતા અને આખરે માતા વગરનું બાળક જીવી ગયું હતું.પરિવાર બાળકને ઘરે લઈ ગયું હતું અને તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. મોત સામે સતત ૧૯ દિવસ લડી ઘરે ગયેલા બાળકનું નામ પરિવાર ‘અભય’ રાખવા વિચારી રહ્યું છે.
માંગરોળની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત ૬ મેના રોજ સાંજે ૪ વાગ્યે સિવિલમાં લાવવામાં આવી હતી. રુચિ પંચાલ (૨૯)ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લીધે ગાયનેક વોર્ડમાં દાખલ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. સારવાર શરૂ હતી દરમિયાન ૧૧મીએ ગર્ભમાં બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે ગર્ભવતી મહિલા અને બાળકને બચાવવા સિઝેરિયન પ્રસુતિ કરાવવાનું નક્કી કરાયુંં હતું. સિઝેરિયન હોવાને લીધે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસુતિ કરવામાં આવી હતી. જાેકે માતા બચી ન શકી પણ બાળક દુનિયામાં અવતરી ગયું હતું.

માતા બેભાન હાલતમાં જ મરણ પામતા નવજાત બાળકની જિંદગી બચાવવા તબીબો કામે લાગ્યા હતા.જન્મતાની સાથે બાળક રડતું ન હોવાને લીધે બાળકના ફેફસાં પર ધ્યાન કેન્દ્રિત કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નળી વડે દુધ પણ પીવડાવવામાં આવ્યું હતું અને બાળકને વેન્ટિલેટર પરથી ઓક્સિજન પર અને ત્યાર બાદ રૂમ એરમાં લાવવામાં ડોકટરોને સફળતા મળી હતી.આખરે બાળકને ૨૯મી મેના રોજ સાંજે રજા આપી દેવામાં આવી હતી.બાળકનો પરિવાર તેને માંગરોળ ખાતે ઘરે લઈ ગયો હતો.

Related Posts