ભાવનગર

હિપેટાઇટીસ બી કે સી થી કોઇપણ વ્યક્તિ ચેપગ્રસ્ત હોય તો સારવાર માટે તુરંત સર.ટી.હોસ્પિટલ, ભાવનગરનો સંપર્ક સાધવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અપીલ

૨૮ જુલાઈએ ‘વિશ્વ હિપેટાઈટીસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હિપેટાઇટીસમાં ખાસ કરીને વાયરલ હિપેટાઇટીસ અતિ ગંભીર રોગની શ્રેણીમાં આવે છે. જે હિપેટાઈટીસ A,B,C,D અને E વાયરસથી થાય છે. જેમાંથી A. E દૂષિત પાણીથી ફેલાય છે અને B, C અને D લોહી દ્વારા ફેલાતા વાયરસ છે. જે ચેપમુક્ત ન હોય તેવા ઇન્જેક્શનથી, એકબીજાનાં ઇન્જેક્શન, રેઝર, બ્રશ વગેરે વાપરવાથી, ઈન્જેક્ટ થયેલ લોહી કે તેની પ્રોડેક્ટ ચડાવવાથી, ટેટુ કરાવવાં કે નાક, કાન વગેરે વિંધવા માટે ચેપી સોય કે શાહી વાપરવાથી અને અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે.

એક અંદાજ મુજબ ભારતમાં ૪ કરોડથી વધારે માણસોમાં હિપેટાઇટીસ બી નાં વાયરસ અને અંદાજે ૨ કરોડ માણસોમાં હિપેટાઇટીસ સી નાં વાયરસ હોય છે. હિપેટાઇટીસ બી ચેપગ્રસ્તમાંથી ૧૦ ટકા માણસોને અને હિપેટાઇટીસ સી ચેપગ્રસ્તમાંથી ૮૦ ટકા સુધી માણસોને લીવરની ગંભીર બીમારી થઈ શકે છે. હિપેટાઇટી વાયરસથી સીરોસીસ અને લીવર કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. હિપેટાઈટીસ બી વાયરસ સામે બચવા માટે રસી સંપૂર્ણ અસરકારક છે, પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિનાં શરીરમાં વાયરસની માત્રા વધારે હોય તો આજીવન સારવાર લેવી પડે છે અને હિપેટાઇટીસ સી થી બચવા હાલ કોઇ રસી નથી પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિ ફક્ત ૧૨ અઠવાડીયાની દવાના કોર્ષથી ૯૫ ટકાથી વધારે કિસ્સામાં સંપૂર્ણ સાજા થઇ શકે છે. નોડલ ઓફીસર NVHCP અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ભાવનગર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, બાળકોના જન્મ સમયથી જ હિપેટાઇટીસ બી નું સંપૂર્ણ રસીકરણ કરી, ચેપગ્રસ્ત માતાની સુવાવડ દવાખાનામાં જ કરાવે અને કોઈ પણ વ્યક્તિ હિપેટાઇટીસ બી કે સી થી ચેપગ્રસ્ત હોય તો સારવાર માટે તુરંત એ.આર.ટી. સેન્ટર, અમુલ પાર્લર ઉપર, સર.ટી.હોસ્પિટલ, ભાવનગરનો સંપર્ક સાધવાનો રહેશે.

Related Posts