સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં વેક્સિનેશન માટે નિઃશુલ્ક કાર સેવાઃ ૩૦ કારચાલકો જરૂરિયાતમંદોને મદદ આપશે

હાલ કોરોના મહામારીની સ્પિડ ધીમી પડી છે, પરંતુ કોરોના સાવ નાબુદ થયો નથી. ત્યારે પૂરતી સાવધાની વર્તવાની સાથે કોરોના સામે મજબૂત લડાઇ કરવા અને જીતવા માટે રામબાણ ઇલાજ વેક્સિન લેવું અત્યંત જરૂરી છે. બીજી લહેર પૂરી થવાના આરે છે,પરંતુ ત્રીજી લહેર આવવાની પણ સંભાવના છે. ત્યારે આ કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આ કાર્યમાં સ્વૈચ્છિક રીતે જાેડાઇ રહી છે. આવી જ રીતે જૂનાગઢમાં સહકાર યુવા ફાઉન્ડેશન અને આપણું જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અનોખું વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે માર્કન્ડભાઇ દવેએ જણાવ્યું, અમારી સંસ્થા દ્વારા કોરોના વેક્સિનેશન માટે નિઃશુલ્ક કાર સેવા પુરી પાડવામાં આવશે. કોઇ અશક્ત, બિમાર, દિવ્યાંગ, ૪૫ વર્ષથી ઉપરના જરૂરિયાતમંદ લોકો હોય કે સિનીયર સિટીઝન હોય તેઓ અમારી કોરોના રસીકરણ માટેની નિઃશુલ્ક કાર સેવાનો લાભ લઇ શકશે. આવા લોકોના રસીકરણ માટે અમારી કાર તેમના ઘરે જશે. કારમાં જે તે વ્યક્તિને વેક્સિનેશન સ્થળ સુધી લઇ આવી વેક્સિન અપાવશે. બાદમાં ફરી તેમને ઘર સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા તદ્દન નિઃશુલ્ક રહેશે.

આ માટે આપણું જૂનાગઢ પેઇજ પર એક લીંક મોકલવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નિઃશુલ્ક કાર સેવાનો લાભ મેળવી શકાશે. આમ, જૂનાગઢીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે વેક્સિન અપાવવા આ અનોખો આરોગ્ય સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન કોરોના વેક્સિનેશન માટે નિઃશુલ્ક કાર સેવા ચલાવવામાં વનરાજભાઇ સુત્રેજા, નિખીલભાઇ મેઠીયા, મહેશભાઇ ભારાઇ, રામભાઇ ગોંડલીયા, પ્રફુલ્લભાઇ વગેરેનો સહયોગ મળી રહ્યો છે.
હાલ કોરોના વેક્સિન માટે નિઃશુલ્ક કાર સેવામાં ૩૦ કારનો ઉપયોગ થશે. ભવિષ્યમાં જરૂર પડ્યે વાહનોની સંખ્યા પણ વધારવામાં આવશે.
કોરોના વેક્સિન લેવા માટેની ફ્રિ કાર સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકો સવારના ૧૦ થી સાંજના ૫ સુધી લઇ શકશે.
અનેક લોકો એવા હોય છે જે કોરોના વેક્સિન કરાવવા ઇચ્છે છે પરંતુ કોઇના કોઇ મજબૂરીના કારણે વેક્સિનેશન સ્થળ સુધી પહોંચી શકતા નથી. ત્યારે આવા લોકોની મદદ માટે ૩૦ વાહનો(કાર)નો ઉપયોગ કરાશે.

Related Posts