ગુજરાત

સુરતમાં પતિ-પત્નિનું મોત થતાં છ મહિનાનો પુત્ર નોંધારો બન્યો

સુરતમાં પત્નીના મૃત્યુના ૨૧મા દિવસે પિતાનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત નીપજતાં ૬ મહિનાનો પુત્ર નોધારો બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. ૪ દિવસ પહેલાં જ વતનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરીને આવેલા અશોકના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ભવરલાલ ઘાચી (મૃતકના મોટા ભાઈ)એ જણાવ્યું હતું કે અશોકના લગ્નને માંડ દોઢ વર્ષ થયું હશે, તેને એક ૬ માસનો પુત્ર છે. પત્ની રિન્કુએ ૨૧ દિવસ પહેલાં જ સુરતના કામરેજ માકણા ગામે ઘરમાં આપઘાત કરી ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. અશોકને પત્નીના આપઘાતનો જાેરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવમુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અચાનક અશોકને છાતીમાં દુખાવો ઊપડતાં બૂમાબૂમ કરી નાખી હતી. એને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાર બાદ સમાજના લોકોને જાણ કરતાં આખો સમાજ દોડી આવ્યો હતો. જાેકે ત્યારે અશોકના શ્વાસ રુંધાય ગયા હતા.

તેમણે જણાવ્યું હતું કે અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. એકલવાયુ જીવન બની જતાં તેણે માસૂમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો. હાલ કામરેજ પોલીસ અશોકનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Related Posts