શાળાનું ભૂમિ પૂજન કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/1367-05-1140x620.jpeg)
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાએ આજે શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવર્તી શાળા, નેસવડ અને પ્રાથમિક શાળા,ખરેડનું ભૂમિ પૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્યમાં વંચિત અને છેવાડાના વિદ્યાર્થીઓને પણ આધુનિક સગવડ મળે તે માટેની અત્યાધુનિક વ્યવસ્થાઓ રાજ્યની શાળાઓમાં ઊભી કરી છે તેનો લાભ લઈ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધે.
બદલાતાં શિક્ષણના પ્રવાહો સાથે વિદ્યાર્થીઓ કદમ મિલાવી શકે તે માટે કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ વર્ગખંડો સહિતની સમય અનુકૂલ વ્યવસ્થાઓ શાળાઓમાં ઊભી કરવામાં આવી છે.શાળાના વર્ગખંડો, પ્રાર્થના ખંડો, રસોઈ ઘર સહિતની માળખાકીય સુવિધાઓમાં દિવસે વૃદ્ધિ કરવામાં આવી રહી છે તેમ જણાવીને તેમણે કહ્યું કે, શિક્ષણના આ યજ્ઞમાં તમારે તમારા બાળકોને ભણાવવાની આહુતિ આપવાની છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહેતાં હતાં કે, હું તમારી દીકરીઓને શિક્ષણ આપવા માટેની ભીક્ષા માગું છું. તે દીકરીઓને અભ્યાસ કરાવવાં માટેનું મહાત્મ્ય સમજાવે છે તેમ જણાવી દરેક વાલીઓ પોતાની દીકરીઓને ભણાવે તે માટેનો તેમણે અનુરોધ કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ત્રી શિક્ષણને અત્યારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ ‘કન્યા કેળવણી મહોત્સવ’ની પણ ઉજવણી કરવામાં આવે છે.
દીકરીઓને કશું નહીં આપો તો ચાલશે પણ કરિયાવરમાં શિક્ષણનું ભાથુ અવશ્ય આપજો તેવી નમ્ર અપીલ પણ તેમણે ઉપસ્થિત વાલીઓને કરી હતી.આજે દીકરીઓ માટે સરકારી નોકરીઓમાં ૩૩ % અનામત આપવામાં આવી છે. તેમને વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવે છે. બાજુની ગામની શાળામાં જવાં માટે ‘સરસ્વતી સાધના યોજના’ અંતર્ગત સાયકલ પણ આપવામાં આવે છે, ત્યારે દીકરીઓ શિક્ષણના ક્ષેત્રમાં પાછળ ન રહે તે માટે કટિબદ્ધ થવા તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, તેઓ પોતે મહુવા તાલુકાના એક નાના એવા ગામમાંથી બહાર નીકળીને મંત્રી બની શકતાં હોય તો તમે તો આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ લઈને કલેક્ટર અને મામલતદાર બની શકો છો.ખૂબ મહેનત કરો, આગળ વધો તમને આગળ વધવા માટે રોજગારના અવસર પ્રદાન કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ ઉપયોગી છે, ત્યારે તમારા માટે આ સુવર્ણયુગ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પહેલાના જમાનામાં પૈસાના અભાવે, જરૂરી વ્યવસ્થાઓના અભાવે વિદ્યાર્થીઓ ભણી શકતાં નહોતાં પરંતુ અત્યારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગણવેશ, છાત્રાલય સુવિધા, ભોજન સુવિધા તેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે મહુવા જેવાં સમુદ્રકાંઠાના વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શિક્ષણની દોડમાં પાછળ ન રહે તે જરૂરી છે. આ શાળાઓના ભૂમિપૂજન અવસરે નેસવડ અને ખરેડ ગામના સરપંચશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ગણ,સ્થાનિક આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments