સાબરકાંઠા એસીબીએ તલોદના વાવડી ચાર રસ્તા નજીકથી આંત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયતના તલાટી ખેતીની જમીન એનએ કરવા રૂ. ૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. જેને લઈ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, તલોદના અંત્રોલી ગામના અરજદારે તેના પિતાના નામની ખેતીલાયક જમીન એનએ કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગેમરભાઈ કરશનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને એનએનું કામ ઓનલાઈન થતું હોય તમારે જાે એનએનું કામ કરાવું હશે તો રૂ. ૧ લાખ આપવા પડશે એવી લાંચની માગણી કરી હતી.
જાેકે અરજદારે તલાટી કમ મંત્રી ગેમરભાઈ કરશનભાઈ પટેલને જણાવ્યું હતું કે, મારી પાસે આટલી મોટી રકમની સગવડ નથી. જાેકે રૂ. ૫૦ હજારની રકમ આપવાની વાત કરતા તલાટી કમ મંત્રી ગેમરભાઈ સહમત થયા હતા. તે દરમિયાન અરજદારે સાબરકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી સાબરકાંઠા એસીબી પીઆઈ વી.એન ચૌધરીએ સ્ટાફ અને પંચો સાથે તલોદના વાવડી ચાર રસ્તે છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન લાંચની રકમ રૂ. ૫૦ હજાર સ્વીકારતા તલાટી કમ મંત્રીને રંગે હાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments