અમરેલી

જ્યાં સુધી તમે ઝાડું અને ડોલ હાથમાં લઈને નીકળી નહીં પડો ત્યાં સુધી તમે ગામને કે, શહેરને સ્વચ્છ નહીં કરી શકો : મહાત્મા ગાંધીજી

સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આગામી ૮ સપ્તાહ સુધી  ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા ઉદ્દેશથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝીયમ, હેરિટેજ ઇમારતો, નદી, તળાવ સહિતના સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. ગત તા. ૦૨ ઓક્ટોબર,૨૩ ગાંધી જયંતીના દિવસે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ઉપરાંત વિવિધ સ્થળોએ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અમરેલીની ડો.અબ્દુલ કલામ ઇનોવેટિવ સ્કૂલના ૨૦૦થી વધુ (પ્રાથમિક શાળા) બાળકો પોતાના ઘરની સાફ-સફાઈ કરીને ‘સ્વચ્છાગ્રહી’ બન્યા હતા. ભૂલકાઓએ પૂજ્ય ગાંધી બાપુનો ક્રાંતિકારી વિચાર  Be the change you wish to see in the world” ખરાં અર્થમાં સાર્થક કર્યો હતો. ડો. અબ્દુલ કલામ ઇનોવેટિવ સ્કૂલ દ્વારા આપવામાં આવેલ “મારું ઘર-સ્વચ્છ ઘર”ના નાનકડા સંદેશ થકી ભૂલકાઓમાં બાળપણથી જ સ્વચ્છતાના સંસ્કારોનું અને ઉમદા જીવનમૂલ્યોનું સિંચન થઈ રહ્યું છે.

       આપણા સૌના રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. પૂજ્ય બાપુનું સ્વચ્છતાને લઈને ચિંતન એટલું વિશાળ હતું કે, તેમાં શરીર, મન અને આત્માની સફાઈ પણ સમાવિષ્ટ હતી. તેઓ માનતાં હતા કે, રાજકીય સ્વતંત્રતા કરતાં સ્વચ્છતાને પ્રથમ સ્થાને રાખવી જોઈએ અને સૌ લોકોએ સ્વચ્છતાને લઈને જાગૃત્ત બનવું જોઈએ. અંગ્રેજ શાસન સમયે એક પરદેશીએ પૂજ્ય બાપુને પૂછ્યું કે, જો તમને એક દિવસ માટે હિંદના વાઈસરોય બનાવવામાં આવે તો તમે શું કરો ? મહાત્માએ પરદેશીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, “તો હું વાઈસરોયના ઘરની પાસે સફાઈ કામદારોના જે ઘોલકા છે તેને સરસ રીતે સાફ કરીને ચોખ્ખા ચણાક બનાવી નાંખુ !”  ગાંધીજી કહેતાં કે, વિદ્યાર્થી જીવનમાં સ્વચ્છતા એ શીખવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો ગુણ છે. ડો. અબ્દુલ કલામ ઇનોવેટિવ સ્કૂલના ભૂલકાઓએ પણ આ ઉમદા ગુણને જીવનમાં ઉતાર્યો છે. બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાના ક્રાંતિકારી વિચારોનું બીજ રોપવામાં આવે તો સાચી રીતે “સ્વચ્છતા હી સેવા”નો મૂળ ઉદ્દેશ સાર્થક બને.

         ડો. અબ્દુલ કલામ ઇનોવેટિવ સ્કૂલના સંચાલકશ્રી કેવલભાઈ મહેતાએ જણાવ્યું કે, અમારી શાળામાં પાઠ્યપુસ્તકના ભણતરની સાથે જીવન મૂલ્યોની પણ શિક્ષા આપવામાં આવે છે. જ્યારે સમગ્ર દેશવાસીઓ સ્વચ્છાગ્રહી બનીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે ત્યારે ડો. કલામ કેમ્પસના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સૈનિકો બની પોતાના મમ્મીને આરામ આપી અને સ્વ ઈચ્છાથી “મારું ઘર, સ્વચ્છ ઘર” અને “સ્વચ્છતા હી સેવા” સૂત્રને સાકાર કર્યું છે.

       આવો સૌ સાથે મળીને આગામી બે મહિના દરમિયાન ઘરથી શેરી, શેરીથી ગામ, ગામથી શહેર અને શહેરથી રાજ્યને સ્વચ્છ બનાવીએ અને “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા વિચારને સાર્થક કરીને આપણી એક ભારતીય નાગરીક તરીકેની અને એક ઉમદા વ્યક્તિ તરીકેની સ્વ ફરજ નીભાવીએ.

Related Posts