ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે કોઈને અમારા હરીફ નથી માનતા. ૨૦૨૦માં, બંને વચ્ચે સામસામે લડાઈ થઈ અને અમારા સૈનિકોએ ચીનના સૌનિકોને માત આપી હતી. તેમણે કહ્યું કે કદાચ આ જ કારણ છે કે ચીનનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું છે. તેઓ સમજી ગયા છે કે ભારત હવે નબળું નથી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પહેલા આપણે સંરક્ષણ સાધનોના સૌથી મોટા આયાતકાર હતા, પરંતુ હવે આપણે સંરક્ષણ વસ્તુઓની નિકાસના મામલે ટોચના ૨૫ દેશોમાં છીએ.
સાથે જ બ્રિટનને લઈને રાજનાથ સિંહે કહ્યું કે ભારત બ્રિટન સાથે સમૃદ્ધ ભાગીદારી ઈચ્છે છે. તેમણે કહ્યું કે ભારત અને બ્રિટનના સંબંધો ઘણા સારા રહ્યા છે. બંને દેશ સાથે મળીને મહાન કામ કરી શકે છે. યુકેના સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શૅપ્સ સાથે યુકે-ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના સીઈઓ રાઉન્ડટેબલની સહ-અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે. ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે છે. આ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે બ્રિટનની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, રક્ષા મંત્રી ગ્રાન્ટ શૅપ્સ અને વિદેશ મંત્રી ડેવિડ કેમરન સહિત ઘણા નેતાઓને મળ્યા હતા.


















Recent Comments