રાજુલા તાલુકાના મોરંગી, વડગામ અને વડલી ગામમાં એક પછી એક થયેલ દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના દુખદ અવસાન પછી પણ પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફથી એક પણ રૂપિયાની સહાય મળેલી નથી.
મોરંગી ગામે એક વર્ષ પહેલા તળાવમાં નાહવા ગયેલા બે બાળકો ડૂબી ગયા હતા. 24 કલાકની ભારે શોધખોળ બાદ તેમના મૃતદેહ મળ્યા હતા. વડગામમાં પણ સમાન રીતે નદીમાં યુવાન ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો. તાજેતરમાં વડલી ગામના એક નિરાધાર સાધુનું વાવાઝોડા દરમિયાન દુર્ઘટનામાં મોત થયું છે.
જોકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમ મુજબ ચોમાસાની અંદર વીજળી પડવી, તળાવમાં ડૂબી જવું જેવી દુર્ઘટનાઓમાં ચારથી પાંચ દિવસમાં ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવવાની જાહેરાત છે, છતાં હકીકતમાં આ પરિવારોને એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી સહાય મળી નથી.
આ મામલે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને રાજુલાના સામાજિક કાર્યકર ટીકુભાઈ વરુએ મુખ્ય સચિવ, જિલ્લા કલેકટર તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેઓએ ઉલ્લેખ કર્યો છે કે આ દુર્ઘટનાઓની તમામ કાનૂની કામગીરી અને દસ્તાવેજો સમયસર મોકલાયા હોવા છતાં મુખ્યમંત્રી સહાય ફંડમાંથી નાણા સ્વીકૃત થયા નથી.
ટીકુભાઈ વરુએ આ મામલે સરકારની કામગીરી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, “આ યોજના તો બીરબલની ખીચડી જેવી બની છે – કાગળ પર છે પણ ગરીબને લાભ સમયસર મળતો નથી.”
આમ, જ્યાં દુઃખી પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક મદદ મળવી જોઈતી હતી, ત્યાં તેઓ એક વર્ષથી પણ વધુ સમયથી ફક્ત રાહ જ જોઈ રહ્યા છે. વડલીના નિરાધાર સાધુ માટે પણ ફક્ત દરખાસ્ત મોકલાઈ છે, નાણા ક્યારે મળશે તેનો કોઈ નિશ્ચિત જવાબ નથી.
અપેક્ષા છે કે સરકાર તાત્કાલિક આ મામલાઓમાં નાણા મંજુર કરી સહાય રુપે યોગ્ય ન્યાય આપે.
Recent Comments