અમરેલી

જેલમાં સારા કપડાં કે ભોજન નહોતું અપાતું, યાતનાના કારણે પ્રદર્શનકારીઓના જીવ ગયા હતા – શ્રી કાપડિયા

અમરેલી તા.૨૫ જૂન૨૦૨૫ (બુધવાર) કટોકટી લદાયાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમમાં અમરેલી ખાતે મીસાવાસી શ્રી રામજીભાઈ કાપડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી કાપડિયા કોલેજમાં વિદ્યાર્થી નેતા હતા અને કટોકટી વખતે શ્રી દિલીપભાઈ સંઘાણી સાથે મીસાવાસી તરીકે સાબરમતી જેલમાં બંદી બનાવવામાં આવ્યા હતા. અમરેલીમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી કટોકટી દરમિયાન વિરોધ પ્રદર્શન કરવા બદલ તેમણે ૬ મહિના સાબરમતીમાં જેલવાસ વેઠ્યો હતો.

આ અંગે મીસાવાસની યાતના વર્ણવતા શ્રી રામજીભાઈ કાપડિયાએ જણાવ્યુ કે, ‘વર્ષ ૧૯૭૫-૭૬માં અમે કોલેજમાં કાર્યકરો હતા. કોલેજમાંથી ૧૫ મિત્રોને પકડવામાં આવ્યા હતા જેમાં મારી અને શ્રી દિલીપભાઈ સંઘાણીને મીસા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટી વર્ષ ૧૯૭૫માં લાદવામાં આવી હતી પરંતુ રાજ્યમાં જનતાદળની સરકાર હોવાથી અમારી ધરપકડ તા.૨૧ સપ્ટેમ્બર, ૧૯૭૬ના રોજ થઈ હતી. સાબરમતી જેલમાં રાજકીય વિભાગમાં અમને રાખવામાં આવ્યા હતા. અમરેલીમાંથી અમારી સાથે શ્રી કેશુભાઈ ખારા, શ્રી ચંપકભાઈ વોરા અને અન્ય સાથીઓ હતા. અમારા બે સાથીઓને જે-તે સમયે શ્રી ભગતભાઈ સોજિત્રા, શ્રી કાંતિભાઈ સોઢાને જીવલેણ રોગ લાગુ પડતા જેલમાંથી બહાર આવતા જ અવસાન થયુ હતુ.

તેમણે ઉમેર્યુ કે, બાબરામાંથી પત્રકાર અને રચનાત્મક કાર્યકર તેમજ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબાર, બગસરામાંથી શ્રી મેઘજીભાઈ રંગાડિયા, સાવરકુંડલામાંથી શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી શશીકાંતભાઈ દોશી, શ્રી ખીમાણી, શ્રી હરગોવિંદભાઈ સુખડિયાને પકડવામાં આવ્યા હતા.

અમે છ મહિના જેલયાતના ભોગવી પરંતુ અન્ય વિરોધકર્તાઓને લાંબો સમય જેલવાસ દરમિયાન યાતના ભોગવવી પડી. જેમાં ભોજન પૌષ્ટિક નહોતું અને કપડાં બરાબર નહોતા, યાતનાના લીધે અમારા કાર્યકર્તા મૃત્યુ પામ્યા. પરંતુ લોક જાગૃત્તિને કારણે ત્યારબાદ આવેલી ચૂંટણીના પરિણામોએ ફરીથી લોકશાહીની સ્થાપના કરી હતી.’

૨૧ વર્ષની વયે સંવિધાનન રક્ષા કાજે જેલમાં યાતના વેઠનારા અમરેલીના વરિષ્ઠ નાગરિક શ્રી કાપડિયાનું આ કાર્યક્રમમાં સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મીસાવાસી તરીકે ઉપસ્થિત રહેવા બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Related Posts