અમરેલી જિલ્લાના ખાંભાના તાલુકાના ‘માશ્રય સખી મંડળ‘ના સંચાલિકાશ્રી ઝંખનાબેન નસિત અમરેલી જિલ્લાના ‘લખપતિ દીદી‘ છે. તેમના સખી મંડળ દ્વારા વિવિધ આરોગ્યપ્રદ ફૂડ પ્રોડક્ટસ ઘરેથી તૈયાર કરવામાં આવે છે. સખી મેળાઓ તેમજ માર્કેટીંગ પ્લેટફોર્મ દ્વારા આ ફૂડ પ્રોડક્ટસના વેચાણ થકી તેમણે એક વર્ષમાં રૂ. ૮ લાખનું વેચાણ કરી દીધું છે. ફક્ત એટલું જ નહીં તેમની આ પ્રોડક્ટની મહેંક છેક મહારાષ્ટ્રના નાસિક સુધી પહોંચી છે અને આગામી સમયમાં તેમનો નાસિક ખાતે એક સ્ટોર શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારની સહાયતા અને ઉદ્યમશીલતા થકી ગીરકાંઠાની મહેનતુ બહેનોનો પરિશ્રમ રંગ લાવી રહ્યો છે.
આ અંગે તેમણે જણાવ્યું કે, એક વર્ષ પહેલાં મેં ફક્ત ખાખરા બનાવવાની તાલીમ મેળવી હતી. ત્યારબાદ હું ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની સાથે જોડાઈ હતી. ત્યારબાદ સરસ મેળો અને સશક્ત મેળા સહિત ૦૩ મેળામાં ભાગ લીધો તેનાથી પ્રોડક્ટનું વેચાણ વધવા લાગ્યું. ગ્રાહકો ઘરેથી પણ ઓર્ડર કરી રહ્યા છે. આગામી સમયમાં અમારી પ્રોડ્કટની માંગને જોતા નાસિકમાં અલાયદો સ્ટોર શરૂ કરવા જઈ રહ્યા છે. અમે ગીર ગાયના શુદ્ધ ઘીમાંથી બનતો મોહનથાળ, મેથીપાક, અડદિયો ગોળ અને સાકરમાં તૈયાર કરીએ છીએ. તે ઉપરાંત ખજૂરના વિવિધ રોલ, ૨૨ પ્રકારના ખાખરા, ખજૂર ડ્રાયફ્રૂટનું તેલવગરનું અથાણું, મુખવાસ, પાપડ, બેકરી પ્રોડક્ટ્સ જેમાં મેંદો અને પામ તેલનો ક્યાંય પણ ઉપયોગ કરતા નથી.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા મેળાઓ અને માર્કેટીંગ દ્વારા એક વર્ષમાં રૂ. ૦૮ લાખનું વેચાણ થયું છે. જેમાં રૂ. ૦૧ લાખની મીઠાઈ વેચાઈ છે. આ પ્રસંગે આ પ્રકારની તક આપવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવા માટે કેન્દ્ર સરકારની નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન(NRLM) અંતર્ગત ‘લખપતિ દીદી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સ્વસહાય જૂથ (SHG) સાથે જોડાયેલી બહેનોને આવકવર્ધક પ્રવૃત્તિઓ થકી વાર્ષિક ઓછામાં ઓછા રૂપિયા એક લાખથી વધુ આવક મેળવવા સક્ષમ બનાવવાનો હેતુ છે. લખપતિ દીદી યોજનાના માધ્યમથી બહેનોને કૃષિ આધારિત વ્યવસાય, પશુપાલન, ડેરી, હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ, સિલાઈ-કઢાઈ, ઘરઉદ્યોગ તેમજ અન્ય લઘુ ઉદ્યોગોમાં તાલીમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય આપવામાં આવે છે.
રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે અને લખપતિ દીદી જેવી યોજનાઓ દ્વારા બહેનોને આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને આર્થિક સશક્તિકરણ તરફ આગળ ધપાવી રહી છે. આ યોજના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા સાથે ‘વોકલ ફોર લોકલ’ના વિચારને પણ બળ આપતી સાબિત થઈ રહી છે.


















Recent Comments