ભાવનગર

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે વિદેશી શાકભાજી ખેતીથી નવી દિશા કંડારી, પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂત જેન્તીભાઈ ચૌહાણ બન્યા પ્રેરણાસ્રોત

ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના ખેડૂતશ્રી જેન્તીભાઈ ચૌહાણ છેલ્લા આઠ વર્ષથી
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), ગાંઠ કોબી,
કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી આ શાકભાજીનું વેચાણ
અમદાવાદ તેમજ ભાવનગરના અમૃત બજારમાં કરવામાં આવે છે, જેના પરિણામે તેમને નિયમિત અને
સંતોષકારક આવક મળી રહી છે.
ખેડૂતશ્રી જેન્તીભાઈ ચૌહાણ દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળી
પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે. જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે તેમજ પાકની ગુણવત્તા
અને પોષણમૂલ્યમાં વધારો થયો છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલ શાકભાજીની માંગ બજારમાં વધતી જતા તેમને
ઉત્તમ ભાવ પ્રાપ્ત થાય છે. સાથે સાથે જમીનની ઉપજાઉ શક્તિમાં પણ સુધારો થયો હોવાનું ખેડૂતશ્રી
જણાવે છે.
છેલ્લા આઠ વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અનેક ખેડૂતો વાવડી ગામ સ્થિત તેમના
ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી ચૂક્યા છે. ખેડૂતશ્રી જેન્તીભાઈ દ્વારા આપવામાં
આવતી માર્ગદર્શિકા અને અનુભવના આધારે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તથા વિદેશી શાકભાજીની ખેતી
તરફ વળ્યા છે અને આજે તેઓ પણ સારી આવક મેળવી રહ્યા છે.

Related Posts