માહિતી બ્યુરો-સુરતઃગુરૂવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશેષ સ્નેહભાવ સાથે પોતાના તરફથી બાળકોને ડ્રોઈંગ બુક અને કલરપેન બોક્સ સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ભવ્ય સ્વાગત કરી રૂમાલ પર કુમકુમ પગલાની છાપ પાડી સ્મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બે દાયકાથી વધુની સફળ સફર બાદ આ શાળા પ્રવેશોત્સવ ગુણવત્તાસભર શિક્ષણનો મહાયજ્ઞ બની ચૂક્યો છે. દીકરાઓ સાથે દીકરીઓ પણ ભણી-ગણીને આગળ વધી સમાજ-રાજ્ય અને દેશનું નામ રોશન કરે એવા સામૂહિક પ્રયાસો કરવા સૌ આગળ આવે તે જરૂરી છે.
શ્રી સંઘવીએ કહ્યું કે, સુરત વિશાળ હૃદય ધરાવતું શહેર છે, જ્યાં દરેક ભાષાના પરિવારોને પોતપોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ દેશની છ ભાષાઓ; ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દૂ, ઉડિયા અને અંગ્રેજી માધ્યમમાં શાળાઓ શરૂ કરી માતૃભાષામાં શિક્ષણ આપતું બહુભાષી મોડેલ અમલી બનાવ્યું છે. હાલ ૧,૯૯,૧૮૬ જેટલા વિદ્યાર્થીઓ મનપાની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોએ પાયાની ભૂમિકા ભજવવાની છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેનું પ્રમાણ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યા છે. ખાનગી શાળાઓમાંથી ૪,૭૦૮ વિદ્યાર્થીઓએ મનપાની સરકારી શાળાઓ પર વિશ્વાસ મૂક્યો છે. આ વર્ષે સુરત જિલ્લામાં ૨૧,૧૧૩ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં બાલવાટિકાના ૯,૦૨૮ ભૂલકાઓનો સમાવેશ થાય છે.
શિક્ષણની સાથે સંસ્કાર અને જીવન મૂલ્યોનું સિંચન કરવા પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ બાળકોને મોબાઈલ અને માત્ર પુસ્તકિયા જ્ઞાનથી દૂર રાખી રમતા-હસતા શીખવવા શિક્ષકો-વાલીઓને અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુરક્ષાના પાઠ ભણાવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જાગૃત બની, પરિવારના સભ્યોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરી ઘર-આંગણા અને મહોલ્લામાં પણ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ, કચરો કચરાપેટીમાં જ નાંખીએ, જેથી બીમારીઓથી બચી શકાય.
તેમણે વાહન વ્યવહારમાં સુરક્ષાના મહત્વને સમજાવતા વિદ્યાર્થીઓને ‘ઘરના પોલીસ’ બનવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણા માતા-પિતા હેલ્મેટ પહેર્યા વિના બહાર જતા હોય, તો તેમને અટકાવો અને હેલ્મેટ પહેર્યા વિના બહાર ન જવા દેવા આગ્રહ-જિદ્દ કરો. કારણ કે માતા-પિતાનું જીવન અમૂલ્ય છે. આપણી થોડી બેદરકારી જીવનને જોખમમાં મૂકી દે છે. વધુમાં, જનપ્રતિનિધિઓ, શાળાના સ્ટાફને શાળા પરિસરને ગ્રીન અને ક્લીન રાખવા સતત કાળજી લેવા સૂચના આપી હતી, જેથી સુરતની શાળાઓ આદર્શ શૈક્ષણિક સંકુલ બની રહે.
આ પ્રસંગે પર્યાવરણના જતન અને ગ્રીન સુરતના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.સૌએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા, માર્ગ અકસ્માતો નિવારવા માટે સજાગ રહેવા તથા જવાબદાર નાગરિક તરીકે ફરજો નિભાવવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે મેયર શ્રીમતી માયાબેન માવાણી, મ્યુ.કમિશનરશ્રી એમ.નાગરાજન, નગર પ્રા.શિ. સમિતિના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, મનપા શાસનાધિકારીશ્રી ધર્મેશ પટેલ, કોર્પોરેટરો, ન.પ્રા.શિ. સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો, દાતાઓ, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશ પામનાર નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
સુરત મનપાની શાળા ક્રમાંક ૪૫, ૪૬ અને ૨૭૫ શાળાઓમાં બાળવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓની શિક્ષણપથ પર પા..પા.. પગલી
. . . . . . . . .
ઉધના દરવાજા પાસે, એપલ હોસ્પિટલની પાછળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખટોદરા કોલોની સ્થિત જયપ્રકાશ નારાયણ પ્રા.શાળા ક્રમાંક-૪૫ માં બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર ૨૬ કુમાર, ૨૪ કન્યા (કુલ ૫૦), ધો.૧માં ૪૩ કુમાર, ૩૪ કન્યા (કુલ ૭૭), શ્રી મોતીભાઈ અમીન પ્રા. શાળા ક્રમાંક-૪૬ માં બાલવાટિકામાં ૨૭ કુમાર, ૨૪ કન્યા (કુલ ૫૧), ધો.૧ માં ૪૮ કુમાર, ૨૮ કન્યા (કુલ ૭૬) તેમજ અબ્બાસ તૈયબજી પ્રા.શાળા ક્રમાંક-૨૭૫ માં બાલવાટિકામાં ૧૩ કુમાર, ૨૮ કન્યા (કુલ ૪૧) અને ધો.૧ માં ૨૯ કુમાર,૪૯ કન્યા (કુલ ૭૮) એમ કુલ ૩૭૩ ભૂલકાઓએ શાળાપ્રવેશ મેળવી શિક્ષણપથ પર પા..પા.. પગલી માંડી હતી.
-૦૦-
સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

















Recent Comments