૧૫મી ઓગસ્ટ રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર છે, ત્યારે આ ઐતિહાસિક અવસર અમરેલી જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તા. ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રી-ઈન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે અમરેલી શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ અમરેલીની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત સમાન રાજમહેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડૉ. કેતન કાનપરિયા દ્વારા રાજમહેલના ઇતિહાસ, તેની સ્થાપત્ય વિશેષતાઓ તથા અમરેલીની ઐતિહાસિક વિરાસત અંગે રસપ્રદ અને માહિતીસભર વિગતો આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને રાજમહેલ સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક બાબતોથી અવગત કરાવી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ હેરિટેજ વોકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી.બી.પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશરફ આર. કુરેશી, દીપક હાઈસ્કૂલના આચાર્ય શ્રી અમિતભાઈ ઉપાધ્યાય સહિત વિવિધ શાળાઓના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મળી આશરે ૨૦૦ જેટલા સહભાગીઓ જોડાયા હતા.
હેરિટેજ વોક થકી યુવા પેઢીને અમરેલીની ઐતિહાસિક ધરોહર, સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવવાની સાથે તેને જાળવવા અને સંવર્ધન કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

















Recent Comments