રાજ્યમાં જળ સિંચનના ભગીરથ પ્રયાસોના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી
જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લા અમલીકરણ સમિતિમાં આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષ શ્રી અજય દહિયાએ જળ સિંચનના ૨૮૮ કામોને મંજૂરી આપી હતી.
જિલ્લામાં ૫૧ કામો ૧૦૦ ટકા જનભાગીદારીથી ઉપરાંત ૬૦-૪૦ ટકા જનભાગીદારી રેશિયોથી ૧૪૭ કામો કરવામાં આવશે.
અન્ય વિકાસ કામો વિવિધ ખાતાકીય છે. જિલ્લામાં કુલ કરવાના થતાં કામોમાંથી જળસંપત્તિ (રાજ્ય)ના ૯૮ કામો, જળસંપત્તિ (પંચાયત)ના ૯૬ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૨૬ કામો, જિલ્લા જળ સ્ત્રાવ એકમના ૨૦ કામો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ૧૪ કામો, નગરપાલિકાના ૩૪ કામો છે.
બેઠકમાં જળસિંચન રાજ્ય, જળ સિંચન વિભાગ પંચાયત, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વોટરશેડ, મનરેગા, નગરપાલિકા હસ્તકના જળસિંચનના તાલુકા મુજબના કામોની અને નગરપાલિકા વિસ્તારના કામોની વિગતવારે જિલ્લા કલેકટરશ્રીએ વિગતો મેળવી હતી. તેમણે સમગ્ર અભિયાનના સુચારું આયોજન માટે જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા.
સુજલામ સુફલામ જળ અભિયાન “કેચ ધ રેઈન ૨.૦” ૨૦૨૫ અંતર્ગત જિલ્લામાં તળાવો ઉંડા કરવા, નદીની સફાઈ, ચેકડેમના ડીસીલ્ટીંગ, કુવા ઉંડા કરવા, હેડ વર્ક સફાઈ, વગેરે કામો કરવામાં આવશે.
આ કાર્યો થકી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments