ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઈઝરાયેલના નાણામંત્રી શ્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી

ઇઝરાયેલના નાણામંત્રીશ્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે તે દરમિયાન તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય મૂલાકાત બેઠક યોજી હતી.

શ્રીયુત બેઝાલેલ સ્મોટ્રિચે ભારત-ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામ્યતા રહેલી છે તેનો ઉલ્લેખ કરીને આ સંબંધનું ફલક ભવિષ્યમાં વધુ સંગીન બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઇઝરાયેલના નાણામંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ ટુ બિઝનેસ રિલેસન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ સંદર્ભમાં તેઓ ખાસ ગુજરાત આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાનશ્રીના ઉષ્માપૂર્ણ વ્યક્તિગત સંબંધો અને આતંકવાદ સામેની લડાઈ માટે બેયની પ્રતિબદ્ધતાથી બંને દેશો વધુ નજીક આવ્યા છે. એટલું જ નહિ, શ્રીયુત બેઝાલેલ સ્મોટ્રિચે ભારતે ઇઝરાયેલને આપેલા સતત સહયોગની પણ પ્રશંસા કરી હતી. તેમણે યુપીઆઈના ઉપયોગ અને ફાઇનાન્સિયલ પ્રોટોકોલ વિશે જાણવામાં પણ રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈઝરાયેલ સાથેના સંબંધો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં ગાઢ બન્યા છે અને આતંકવાદ સામે ઝિરો ટોલરન્સની નીતિમાં ઇઝરાયેલ પણ ખૂબ મક્કમતાથી આગળ વધ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ સામેની લડાઈ યથાવત રાખીને આતંકવાદને નાબુદ કરવા પ્રતિબદ્ધ છે અને ઇઝરાયેલને આતંકવાદ સામેની લડાઈમાં અડીખમ સાથ આપવા સદાય તત્પર છે.

તેમના નેતૃત્વમાં ભારત વિશ્વ સમુદાયમાં એક વિશ્વાસુ દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે અને મહાત્મા ગાંધી – સરદાર વલ્લભભાઈ પટેલે અપાવેલા સ્વરાજ્યને વડાપ્રધાનશ્રી સુરાજ્ય ગુડ ગવર્નન્સની આગવી ઓળખ આપી છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

ઇઝરાયેલે ટપક સિંચાઈ પદ્ધતિ –ડ્રીપ ઈરીગેશનમાં મહારથ હાંસલ કરીને ઓછા પાણીએ વિપૂલ ખેતીનો જે સફળ પ્રયોગ કર્યો છે તે અને અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટને ગુજરાતમાં સહયોગ માટે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં રોકાણો અને વ્યવસાય કારોબાર માટે ઇઝરાયેલના નાણામંત્રીશ્રીએ જે ઉંડો રસ દાખવ્યો તેને આવકારતા કહ્યું કે, આ દિશામાં વધુ તકો માટે ગુજરાત સરકારના અને ઇઝરાયેલના અધિકારીઓની એક જોઈન્ટ ટીમ બનાવીને ચર્ચા પરામર્શથી આગળ વધી શકાય તેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયેલમાં તાજેતરની ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના પણ આ તકે વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયેલની પડકારો સામે મક્કમતાથી ઉભા રહેવાની અગ્રેસરતાની પ્રશંસા આ બેઠકમાં કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, નાણાં સચિવ શ્રીમતી આરતી કંવર અને મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

Related Posts