ગુજરાત

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા

અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, જેમાં તાજેતરમાં પ્રગતિનગર વિસ્તારના 64 વર્ષીય કોન્ટ્રાક્ટર અર્ચિશકુમાર ભટ્ટ છેતરપિંડીનો ભોગ બન્યા છે. બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક અજાણ્યા કોલરે તેમને KYC અપડેટ કરાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા અને તેમની અંગત બેંક વિગતો મેળવી લીધી હતી. આ વિગતોનો દુરુપયોગ કરીને ગઠિયાઓએ અર્ચિશકુમાર ભટ્ટના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 8,27,500 ની માતબર રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર દ્વારા હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ છેતરપિંડીની ઘટના ગત 23 જૂન 2025 ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે બની હતી, જ્યારે 64 વર્ષીય અર્ચિશકુમાર ભટ્ટના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે પોતાનું નામ દિપક શર્મા આપીને પોતે ICICI બેંકમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ખાસ કરીને, કોલર આઈ.ડી. પર ICICI બેંકનો ફોટો દેખાતો હોવાથી વૃદ્ધ ફરિયાદીને સરળતાથી વિશ્વાસ બેસી ગયો હતો. આ ઠગે અર્ચિશકુમારને ધમકાવતા જણાવ્યું કે તેમના ખાતાનું KYC (નો યોર કસ્ટમર) અપડેટ બાકી છે અને જો તુરંત ઓનલાઈન પ્રોસેસ નહીં કરવામાં આવે, તો તેમના ખાતામાંથી રૂપિયા 5,000નો ચાર્જ કપાશે અને ખાતું ફ્રીજ કરી દેવામાં આવશે.જોકે, ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે પોતાનું મુખ્ય ખાતું યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં હોવાનું જણાવતા ઠગે તુરંત જ તે ખાતાનું ઓનલાઈન KYC કરી આપવાની તૈયારી દર્શાવી. ત્યારબાદ આ ગઠિયાએ વોટ્સએપ પર એક ખાસ લિંક મોકલી, જેમાં ખૂલેલા ફોર્મમાં ફરિયાદી પાસેથી બેંકનું નામ, ખાતા નંબર, પોતાનું નામ, તેમજ સૌથી સંવેદનશીલ વિગતો જેવી કે ડેબિટ કાર્ડનો સંપૂર્ણ નંબર, CVV નંબર અને વેલિડિટી તારીખ પણ ભરાવીને સબમિટ કરાવી લીધી હતી. આ રીતે, ઠગે ફરિયાદી પાસેથી તેમની તમામ અગત્યની બેંકિંગ વિગતો ચાલાકીપૂર્વક મેળવી લીધી.ફોર્મ સબમિટ થતાં જ ઠગે મોકલેલી લિંકનો ઉપયોગ કરીને ફરિયાદીના ફોનનો એક્સેસ મેળવીને તેને હેક કરી દીધો હતો. વિગતો આપી દીધાના થોડા કલાકો બાદ જ અર્ચિશકુમાર ભટ્ટને સતત અલગ અલગ OTP આવવાના શરૂ થતાં તેમને શંકા ગઈ હતી. જોકે, વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ, બીજા દિવસે, તા. 24 જૂન 2025 ના રોજ તેમની જાણ બહાર તેમના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 8,27,500/- ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જેનાથી તેમને મોટું નાણાકીય નુકસાન થયું.પોતાના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયાના મેસેજ મળતાં જ ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે તાત્કાલિક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેરમાં સંપર્ક કરીને પોતાનું બેંક ખાતું હોલ્ટ કરાવી દીધું અને એટીએમ કાર્ડ પણ બંધ કરાવી દીધું હતું. આ સાયબર ફ્રોડનો અહેસાસ થતાં તેમણે સમય બગાડ્યા વિના સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.

આ સાયબર ફ્રોડ અંગે વૃદ્ધ ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, જે હવે વિગતવાર તપાસ માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જોકે, ફરિયાદમાં એક મોટો અવરોધ આવ્યો છે. ફ્રોડ થયા બાદ તેમનો ફોન ખૂબ ગરમ થવા લાગ્યો હતો અને કોલ-મેસેજ પણ થતા નહોતા, જે તેમના ફોન હેક થઈ ગયા હોવાનો સ્પષ્ટ સંકેત હતો. પરંતુ, તેમણે પોતાના ભાણેજની સલાહ મુજબ ફોન રીસેટ (ફોર્મેટ) કરી દીધો હોવાથી, ઠગ સાથે થયેલી વોટ્સએપ ચેટ કે મોકલેલી લિંકના કોઈ ડિજિટલ પુરાવા હાલમાં તેમની પાસે ઉપલબ્ધ નથી. પુરાવાના અભાવ છતાં પોલીસે હવે આ છેતરપિંડી કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Related Posts