અમરેલી

સાવરકુંડલા તાત્કાલિક હનુમાનજી આશ્રમમાં હનુમાનજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

 સાવરકુંડલા સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે. કે. હાઈસ્કૂલ પાછળ, ખાતે આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) ના રોજ ચૈત્રી પૂર્ણિમાના શુભ અવસરે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ધાર્મિક આયોજનોની સાથે સાથે માનવતા અને સમાજ પ્રત્યે સેવાકીય ભાવનાને ચરિતાર્થ કરતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  વિનામૂલ્યે એક્યુપ્રેશર નિદાન અને કુદરતી ઉપચાર કેમ્પ બપોરે ૪:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક આ કેમ્પમાં કમર તથા સાંધાના દુખાવા, સાયટીકા, માઈગ્રેન, જૂની શરદી, પેરાલીસીસ અને અનિદ્રા જેવા વર્ષો જૂના અને હઠીલા રોગોનું તદ્દન નિઃશુલ્ક નિદાન એક્યુપ્રેશર તથા મેગ્નેટ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં જાણીતા ચિકિત્સકો ગોપાલભાઈ ભરખડા અને હીનાબેન ભરખડા પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરશે. તેમજ સાંજે ૬:૦૦ કલાકે પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને સેવાભાવનાને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે માળા અને પાણી ભરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સંપૂર્ણ સહયોગથી રાત્રે ૬:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ માનવતાના કાર્યમાં સહભાગી થનાર દરેક રક્તદાતાઓ ને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે ભગવાન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય અને મંગલમય દિવ્ય આરતી યોજાશે. આરતી સંપન્ન થયા બાદ તમામ ઉપસ્થિત ભક્તો, સંતો, મહંતો ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો એક સાથે પંગતમાં બેસીને ભગવાન ના પવિત્ર મહાપ્રસાદનો લાભ લેશે.શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે જરૂરિયાત મંદો ને સહાય કરવા, આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે. આ પ્રાગટ્ય મહોત્સવ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ધર્મ અને સેવાનો સમન્વય સાધવાનો છે. તેમ મહંત શ્રી હનુમાનદાસબાપુ ગુરુ રામ સુંદર દાસ બાપુ દ્વારા એક યાદીમાં  જણાવેલ છે.

Related Posts