અમરેલી

‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની સાથે પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલનું આયોજન

ભારતીય ડાક વિભાગ દ્વારા તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાત પરિમંડલમાં ૭૬માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ યોજાશે. દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું પણ આયોજન છે.

રાજકોટ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યુ કે, આ પહેલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે, જેનો લાભ ગુજરાતના લોકો અને તમામ લાભાર્થીઓને મળશે.

કેન્દ્રીય સેવાઓની સાથે રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક જ સ્થળે મળી શકશે. ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ, નિકાસ સેવાઓ સહિતની તમામ નાગરિક કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃત્તિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રીએ જણાવ્યુ કે, પોસ્ટ ઓફિસ હવે ફક્ત પરંપરાગત ડાક સેવાઓ પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ કડી પણ બની છે. ડાક વિભાગે તેના કાર્યોનો વિસ્તારમાં વધારો કર્યો છે, ડિજિટલ માધ્યમ દ્વારા તેની સેવાઓને વધુ સુલભ બનાવી છે. સમાજના છેવાડાના માણસ સુધી ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશન અને અંત્યોદયની સરકારી યોજનાઓ સાથે સીધા જોડાવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ડાક સેવાઓ જેમ કે, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી, આધાર અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાક ઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનમુખી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

સી.ઈ.એલ.સી હેઠળ ઘરે બેઠા બાળકો માટે આધાર કાર્ડ બનાવવું, મોબાઈલ અપડેટ, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડીબીટી, બિલ ચૂકવણી, એ.ઈ.પી.એસ દ્વારા બેંક ખાતામાંથી ચૂકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે જેવી વિવિધ સેવાઓનો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક દ્વારા પોસ્ટમેનના માધ્યમથી ઘરબેઠાં પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ ૮,૮૮૮ પોસ્ટ ઓફિસ સમાવિષ્ટ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદ ૨,૨૬૨ પોસ્ટ ઓફિસ , દક્ષિણ ગુજરાત પરિક્ષેત્ર, વડોદરા ૩,૬૨૯ પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્ર રાજકોટ ૨,૯૯૭ પોસ્ટ ઓફિસ છે. ડાક ચોપાલ દ્વારા લોકો સીધા સરકારી યોજનાઓ સાથે જોડાશે તેમ અમરેલી ડિવીઝન ડાકઘરના અધિક્ષકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts