ભાવનગર

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી ફેબ્રુઆરી અને માર્ચ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૧૦/ર/૨૦૨૫ ના વિશ્વકર્મા જયંતી, તા.૧૯/ર/૨૦૨૫ ના છત્રપતિ શિવાજી જયંતી, તા.ર૬/ર/૨૦૨૫ ના મહાશિવરાત્રી તથા તા.૭/૩/ર૦ર૫ ના દુર્ગાષ્ટમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) અન્વયે મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આથી જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારું ફરમાવેલ છે

કે કોઈએ તા ૧૧/૦૨/૨૦૨૫ થી તા. ૧૨/૦૩/૨૦૨૫ સુધી (બંને દિવસો સહિત) કોઈ વ્યક્તિ કે વ્યક્તિનાં સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે શસ્ત્ર, દંડા, તલવાર, છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ. કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં. ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં.

.આ હુકમ ફરજ પરના અઘિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અઘિકારી/કર્મચારી હથિયાર ઘરાવતા હોય તેને, જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીથી ઉત્તરતા દરજજાના ન હોય તેવા પોલીસ અઘિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત કરેલ અઘિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.

આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

Related Posts