ગુજરાત

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામે એક શુભ પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રસાદમાં પીરસાયેલી છાશના કારણે 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, આ ઘટનામાં નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઝાડા, ઉલટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે પીડિત બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક ગોમટા ગામે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં આશરે 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે. રાહતની વાત એ છે કે, હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે.  આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણ સુધી પહોંચવા માટે શંકાસ્પદ છાશના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે.’

Related Posts