ગુજરાત

કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા કલોલ તાલુકાના સનાવડ ગામે મુલાકાત લેવામાં આવી

મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર બેસી સૂક્ષ્મ પ્રાણાયામ, શ્લોક પઠન અને પ્રાર્થના કરીગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા સ્થાનિક ગ્રામ્ય મુદ્દાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સ અને યોજનાઓ અંગે ચર્ચા કરતા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ લોકો વચ્ચે જઈ મુલાકાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ વસ્તીની સુખાકારીમાં વધારો કરવા સાથે આ મુલાકાતો વધુ સારા શાસન, પારદર્શિતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે, અને નાગરિકોને વહીવટ સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે.

આવી બેઠકો દરમિયાન, પ્રજા હિતને પ્રાધાન્ય આપી જન સુખાકારીના ધ્યેય સાથે કાર્ય કરતા ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલા મુદ્દાઓ સાંભળે છે. અને વહીવટ, માળખાકીય સુવિધાઓ, કલ્યાણ યોજનાઓ વગેરેને લગતી સમસ્યાઓના નિરાકરણ તરફ કેટલી અને કેવી કામગીરી કરવામાં આવી છે તેની જવાબદારી પૂર્વક નોંધ લઈ રહ્યા છે, લોકો માટે તેમની આ ચિંતાઓ સાથે સૂચનો અને પ્રતિસાદ સીધા જ વહીવટીતંત્ર સુધી પહોંચાડવા માટે આ મુલાકાત આયોજન એક ઉત્તમ માધ્યમ બની રહ્યું છે.અરજદારને ભગવાન સમજવાના તેમના મૂળ મંત્ર સાથે તેઓ શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉત્તમ કામગીરી થાય તે ઈચ્છા સાથે, ગામની શાળાઓ તથા આંગણવાડીની પણ મુલાકાત સમયાંતરે કરતા રહે છે.જેથી માત્ર ગુજરાતનુંજ નહીં પણ ભારતનું ભાવી એવા ભુલકાઓના ભણતરમાં કોઈજ કચાસ ન રહે.

વિકસિત ભારતના મજબૂત પાયો ગણાવી શકાય તેવા શૈક્ષણિક ક્ષેત્ર તથા ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ ખુબજ જરુરી છે, જે અંતર્ગત તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના સનાવડ ગામે મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શાળા સનાવડ ખાતે ગ્રામજનો તથા શાળાની બાળાઓ દ્વારા કલેકટરશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર બેસી સૂક્ષ્મ પ્રાણાયામ, શ્લોક પઠન અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી બાળકો સાથે ઘડિયા,પલાખા વિગેરે અંગે પ્રશ્નોત્તરી કરી શિક્ષણની ગુણવત્તાની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત શાળામાં હાજર વાલીઓ સાથે સંવાદ કરી બાળકો દ્વારા શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ,શિક્ષણકાર્ય વિશે દૈનિક ઘરે ચર્ચા કરી શિક્ષણ કાર્યમાં વાલીઓએ ભાગીદાર થવા નમ્ર વિનંતી કરી હતી.

આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત કચેરી સનાવડ ખાતે તલાટી કમ મંત્રી તથા ડોક્ટરની સામાન્ય દફતર તપાસણી કરી, દફતર અધ્યતન નિભાવણી કરી વિગતો મોકલી આપવા સૂચના આપી હતી. ત્યારબાદ ગામ આગેવાનો અને ગામજનો સાથે વાત કરી સરકારી યોજના અમલીકરણ, ગામે ઉપલબ્ધ સુવિધાની ગુણવતા, કર્મચારીઓની નિયમિતતા અને કામગીરી વિગેરે બાબતે ચર્ચા કરી. ગામના વિકાસ માટેના જરૂરી ગ્રાન્ટ જરૂરિયાત , પેન્ડિંગ કામોની રજૂઆત પરત્વે સ્થળ પર તત્કાલ લગત અધિકારીશ્રીને ટેલીફોનીક સૂચના પણ આપી હતી.

કલેકટરશ્રી ગાંધીનગરે આ દરમિયાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી, ભૂલકાઓ સાથે બાળગીતનું ગાન કર્યું, ત્યારબાદ રસોડાની સફાઈ તથા પીરસેલ ભોજનની ગુણવત્તા ચકાસી, હાજર વાલીઓ સાથે પૃચ્છા કરી આંગણવાડીની નિયમિતતા,ભોજનની ગુણવત્તા, બાળકોનું આરોગ્ય વિગેરે બાબતે પણ માહિતી મેળવી હતી. આંગણવાડીમાં નાનકડી જગ્યામાં આવેલ કિચન ગાર્ડનની પણ સરાહના કરી હતી.

Related Posts