અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગીર પ્રેમિકાની હત્યા કરવાના આરોપસર પોલીસે તેના પ્રેમી (અજય ઠાકોર) ની ધરપકડ કરી છે. મૃતક સગીરા વારંવાર લગ્ન માટે આરોપી પ્રેમીને દબાણ કરી રહી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી અજય ઠાકોરે તેની પ્રેમિકા સગીરા હોવાથી લગ્નનો ઇનકાર કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. આખરે, પ્રેમ લગ્નની તકરારમાં પ્રેમીએ ઉશ્કેરાઈને સગીર પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી.અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી નરીમનપુરા કેનાલમાંથી ગત 14 ઓક્ટોબરે સાંજે એક 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સગીરાના બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.કેનાલમાં મૃતદેહ સૌપ્રથમ સ્થાનિક લોકોએ જોયો હતો, જેમણે તરત જ સરખેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી અને મૃતકની ઓળખ માટે સગીરાની માતાને બોલાવવામાં આવી હતી. માતાએ મૃતદેહ તેમની ગુમ થયેલી પુત્રીનો હોવાની પુષ્ટિ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતકના ગળા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેનાલમાં ફેંકતા પહેલા સગીરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે.મૃતક સગીરા અજય ઠાકોર નામના રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધમાં હતી. આશરે બે મહિના પહેલા તે પોતાનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈને ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી અને ત્યારથી તે અજય સાથે રહેતી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ સગીરાની માતાએ અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં તેમણે હત્યાનો આરોપ લગાવ્યો હતો. સરખેજ પોલીસે અજયના એક મિત્રની અટકાયત કરી હતી, જેણે ગુનામાં મદદ કરી હોવાની શંકા છે, જ્યારે મુખ્ય આરોપી અજય ઠાકોર હજુ પણ ફરાર થઇ હતો. આખરે પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો

Recent Comments