કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી પહોચ્યા છે. નરેશ પટેલ દિલ્હીમાં રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. નરેશ પટેલના છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં જોડાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેત છે.
નરેશ પટેલ કોંગ્રેસના ચાર પાટીદાર ધારાસભ્ય પ્રતાપ દૂધાત, કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા સાથે દિલ્હી પહોચ્યા છે. નરેશ પટેલ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી શકે છે. રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેશ પટેલે રાજકારણમાં જોડાવવાનો નિર્ણય લેવા માટે 10 મેની સમય મર્યાદા આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી છે. તમામ રાજકીય પક્ષોની નજર ગુજરાત પર છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે જેમાંથી પાટીદારોનું 70 જેટલી બેઠકો પર પ્રભુત્વ છે. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. નરેશ પટેલ લેઉવા અને કડવા પાટીદાર સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસને રાજ્યમાં ફાયદો થઇ શકે છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી 99 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. આ વખતે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો વધી શકે છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવવાથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની સાથે સાથે સુરત અને અમદાવાદની પણ કેટલીક બેઠક પર ફાયદો થઇ શકે છે. નરેશ પટેલ પણ રાજકારણમાં જોડાવાની વાત કરી ચુક્યા છે. નરેશ પટેલ જાહેરમાં કહી ચુક્યા છે કે તેઓ રાજકારણમાં જોડાશે. નરેશ પટેલ થોડા સમય પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હતી.
Recent Comments