અમરેલી

ચુસિયાં જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે અગમચેતીના પગલા ભરવા અનુરોધ

અમરેલી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુમાં કપાસના પાકમાં ચુસિયાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતોએ આ સમસ્યાના નિવારણ માટે તકેદારીના પગલા લઇ લેવા આવશ્યક છે. ચુસિયા જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય તે માટેના જરુરી એવા આ પગલાંઓ બાબતે અમરેલી જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા  તે અંગે વિવિધ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. મોલોમશી તથા તડતડીયાંનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટીનાં (ક્રાયસોપા) ઇંડા અથવા ઇયળને હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લીટર, ૨૫ લીટર કે ૭૫૦ મી.લી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો. ચુસીયાં પ્રકારની જીવાતોનાં નિયંત્રણ માટે એસીડામીપ્રીડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ, ઈમીડાકલોપ્રીડ ૧૭.૮

એસ.એલ. ૩ મીલી., થાયોમીથોકઝામ ૨૫ ડબલ્યુ જી ૩ ગ્રામ, ડાયફેન્થીયુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ

પૈકી કોઈપણ એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

    સફેદમાખી માટે પીળા ચીકણાં પિંજરનો મોજણી અને નિયંત્રણમાં ઉપયોગ કરવો. સફેદમાખીનાં નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપ્રોફેજીન ૨૫ એસ.સી. ૨૦ મીલી કે એસીફેટ ૭૫ એસ.પી. ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

     મીલીબગનો વધુ ઉપદ્રવ હોય તો ૧૫ દિવસનાં અંતરે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મીલી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાને ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો. અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી રૂપલાંઓને નીચે પાડી નાશ કરી શકાય છે.

કપાસના રોગોના નિયંત્રણ માટે લેવાનાં પગલાં :

• કપાસમાં મૂળખાઈ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું ૦.૨ ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણઘટે છે. ખેતરમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.

• સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો.ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.

• નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫° સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે.

• આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની રારૂઆતના ૧૨ કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે છોડની ફરતે રેડવું.

    વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતી અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ અને તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related Posts