અમરેલી જિલ્લામાં વર્ષ ૧૯૭૩ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૨૪ (૪) તથા કાયદા અધિકારી (નિમણુક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્ય સંચાલન નિયમો-૨૦૦૯ના નિયમ-૫(૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. ગુજરાત હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે ઓછામાં ઓછા ૦૭ (સાત) વર્ષથી સક્રીય હોય, ૫૫ વર્ષથી વધુ ઉંમર ન હોય અને નિમણુકના ઓછામાં ઓછા ૦૩ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય તેવા ઉમેદવારો પાસેથી મદદનીશ સરકારી વકીલ/એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ૦૧ જગ્યા માટે તા. ૦૬ ફેબ્રુઆરી,૨૦૨૩ સુધીમાં અરજી આવકાર્ય છે.
ઈચ્છુક ઉમેદવારે કચેરી સમય દરમિયાન (રજાના દિવસો વિસાય) અરજી ફોર્મ કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી ખાતેથી મેળવી નિયત નમુનામાં વિગતો ભરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત,અનુભવના પ્રમાણપત્રો વગેરેની પ્રમાણિત નકલો તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્ન સામેલ રાખીને ડેકલેરેશન સાથે કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી,અમરેલીને અરજી કરવાની રહેશે.
અનુસુચિત જાતિ/જનજાતિ,અન્ય પછાત વર્ગના ઉમેદવારોની અરજી અંગે અગ્રતાના ધોરણે વિચારણામાં લેવામાં આવશે. નિયુક્ત થયેલા ઉમેદવારોને કાયદા અધિકારી (નિમણુક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્ય સંચાલન નિયમો-૨૦૦૯ના નિયમ-૫(૨) મુજબ ફી તથા અન્ય ભથ્થા મળવાપાત્ર થશે. ઉપરાંત અરજીકર્તા ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે પોતાના સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે એવું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments