રાષ્ટ્રીય

નિષ્ણાતોએ કર્યો એક દાવો કે કોરોના સંક્રમણના લક્ષણો પહેલા કરતા બદલાયા છે

દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને દેશભરની તમામ હોસ્પિટલોમાં તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના બાદ દેશભરની હોસ્પિટલોમાં બે દિવસીય મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન તેમણે પોતે મોક ડ્રીલનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં કોરોનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મનસુખ માંડવિયાએ તૈયારીઓમાં કોઈ બેદરકારી તો નથીને ચકાસવા માટે તબીબોની ટીમ સાથે પણ વાત કરી હતી. કોરોના સમયે સૌથી મહત્વપૂર્ણ ઓક્સિજનને લઈને હોસ્પિટલમાં શું તૈયારીઓ કરવામાં આવી હતી? જેને ચકાસવા માટે મનસુખ માંડવિયા પણ હોસ્પિટલમાં હાજર ઓક્સિજન પ્લાન્ટને જાેવા પહોંચ્યા હતા અને સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ ના કેસ આગામી દિવસોમાં વધવાની આશંકા છે, કારણ કે શહેર ગીચ વસ્તી ધરાવતું છે.

તે જ સમયે, તેમણે ‘ફ્લૂ’ જેવા લક્ષણો ધરાવતા લોકોને માસ્ક પહેરવા અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા કહ્યું. કોરોનાની સ્થિતિનો સામનો કરવા માટે હવે દેશભરમાં કડકાઈ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં તપાસને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે… છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૫,૮૮૦ કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૩૫,૧૯૯ થઈ ગયા છે. કોરોનાના કારણે દેશભરમાં એક દિવસમાં ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, દેશભરમાં ૩૪૮૧ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અને હવે કોરોનાના નવા લક્ષણો શું છે?.. તે જાણો… નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના સંક્રમણના લક્ષણો પહેલા કરતા બદલાયા છે. આ સમયે ફેલાતા કોરોના સંક્રમણના લક્ષણો પણ પહેલા કરતા અલગ છે. ડોકટરો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉંચો તાવ, શરદી અને ઉધરસના લક્ષણો કોરોનાના સામાન્ય લક્ષણો તરીકે દેખાય છે. પરંતુ આ વખતે ત્વચાને લગતા લક્ષણો, કન્જક્ટિવાઈટીસ એટલે કે આંખોમાં ખંજવાળ અને ચીકણી આંખો જેવા લક્ષણો સામે આવી રહ્યા છે. આ નવા લક્ષણો કોરોના દર્દીઓમાં જાેવા મળી રહ્યા છે.

Related Posts