સૌરાષ્ટ - કચ્છ

પુત્ર પ્રાપ્તિ માટે ચાર દિકરીઓની માતાને પતિએ બેફામ માર મારતા હોસ્પિટલ ખસેડાઇ

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામપરા નવાગામ ખાતે પુત્ર પ્રાપ્તિ માટે ચાર દીકરીઓની માતાને પતિએ બેફામ માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાઈ છે. માર માર્યા બાદ પતિ તેણીને માવતરે ફેકી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કોટડાસાંગાણીના રામપરા નવાગામ ખાતે રહેતા મધુબેન રણજીતભાઈ પરમાર ઉ.૩૫ને ગત રાત્રે પતિએ બેફામ મારકૂટ કરતા સારવાર અર્થે મોટા માંડવા ગામે રહેતા તેણીના પિતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. તેઓની પ્રાથમિક પુછપરછમાં દીકરી મધુના લગ્ન ૧૧ વર્ષે પૂર્વે કર્યા હોવાનું અને સંતાનમાં હાલ ચાર દીકરી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત પહેલા પતિ તું કેમ પુત્રીઓને જ નામ આપે છે તેમ કહી ત્રાસ આપતો હતો. જેણે ગઈકાલે તું કેમ દીકરાને જન્મ નથી આપતી તેમ કહી ઝઘડો કરી બેફામ માર માર્યો હતો. માર માર્યા બાદ પતિએ ઈજાગ્રસ્ત હાલતમાં મધુને રીક્ષામાં બેસાડી માવતરે મોટા માંડવા ગામે લાવી રોડ ઉપર ફેંકી દીધી હોવાનો પણ પિતાએ આક્ષેપ કર્યો હતો.
આ ઘટના અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

Related Posts