ગુજરાત

ગુજરાતમાં ભાજપના પૂર્વ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવાયા

ગુજરાતમાં ભાજપના સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ છેલ્લા બે દાયકાથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતાં ભીખુ ભાઈ દલસાણિયાની જગ્યાએ બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા રત્નાકરની નિમણૂંક કરવામાં આવી હતી. હવે ભીખુભાઈને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યાં છે.ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની જગ્યાએ રત્નાકરની નિમણૂંક કરાતા ભાજપના નેતાઓ પણ ચોંકી ગયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા ભીખુભાઈ મોદીના વિશ્વાસુ મનાતા હતા. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય એવી શક્યતાઓ પણ સેવાઈ રહી હતી. હવે તેમને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યાં છે.તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ‘૧૯૯૭ થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી ફરજ પર રહેવાનો મને લ્હાવો મળ્યો. વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકર્તાઓના અપાર-આદર અને સ્નેહ-સહયોગથી સંતોષ અને આનંદ છે. હવે માં ગંગાના કિનારે બિહારમાં વિહાર કરીશું. એક ભારત શ્રેષ્ઠ
ભારત. પ્રણામ.’

સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે. હરહંમેશ વિવાદથી દુર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખી દલસાણીયાએ પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી. પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજાેમાં લોકપ્રિય છે. એટલુ જ નહી, ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકર્તાથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સાથે સીધા સંબંધ છે. દલસાણીયા મૂળે જામનગરના ધ્રોલના વતની છે અને વર્ષોથી આરએસએસના સંગઠન સાથે જાેડાયેલા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક જ પ્રચારકની જવાબદારી નિભાવી છે, લગ્ન કર્યાં નથી અને કોઇપણ પ્રકારની ચૂંટણી લડવાના પણ અનુભવી નથી. પણ ભાજપ અને સંઘના લોકો માટે ભીખુભાઇ મોટું નામ છે. તેઓ સંઘ અને ભાજપ સંગઠન વચ્ચે કડીરૂપ ભૂમિકા વર્ષોથી ભજવે છે.

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકરઃ
૧૯૭૩માં જન્મેલા રત્નાકર ૧૯૯૧માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. ૧૯૯૫માં સંઘમાં સામેલ થયા પછી ૨૦૧૩ સુધી પ્રચારક રહ્યા, કાશી ગોરખપુર ક્ષેત્રમાં સામાજિક સેવાકીય કાર્યો કર્યા હતા. ૨૦૧૩માં પ્રથમ વખત ઉત્તરપ્રદેશમાં સંગઠન મહામંત્રી તરીકે બુંદેલખંડમાં કામગીરી શરૂ કરી હતી. ઉત્તરપ્રદેશની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં સફળ કામગીરી કરવા સાથે ૨૦૧૭માં એ વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે રત્નાકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી સોંપી હતી. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં એમણે બિહારમાં ગોરખપુર બેઠકની જવાબદારી સોંપ્યા પછી ૨૦૨૦માં જ બિહાર સંગઠન મંત્રી બનાવાયા હતા.રત્નાકર રાષ્ટ્રીય નેતૃત્વ અને ખાસ કરીને ગુજરાતના બન્ને નેતાઓના વિશ્વાસુ ગણાય છે.

Related Posts