કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મરીન સાયન્સ ભવનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઉદ્યાનની આજુબાજુના ગામોમાં વન્ય જીવ પ્રત્યે સ્થાનિક લોકોમાં સંવેદના તથા સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુએ વન્ય જીવ સપ્તાહ અનુસંધાને લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.
જેમાં ખાસ કરીને રાજગઢ અને વેળાવદર ગામમાં તા.૦૯/૧૦/૨૦૨૧ ના રોજ યુનિવર્સિટીના મરીન સાયન્સ ભવનમાં અભ્યાસ કરતા ભાલ વિસ્તારનાં જ વતની એવા વિધાર્થીઓ દ્વારા ગ્રામજનો સમક્ષ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય વન્યજીવ સૃષ્ટિ વરૂં, ખડમોર, હેરિયર વગેરે વિશે ખુબ જ સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરી તથા ડોક્યુમેન્ટરી ફિલ્મો દ્વારા સ્થાનિક લોકોને રસ પડે તેવી લોકબોલીમાં આ દુર્લભ જીવસૃષ્ટિની જાળવણીની આવશ્યકતાં વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
ગામના સરપંચશ્રીઓ અન્ય આગેવાનો અને તમામ ગ્રામજનોએ ખુબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિમાં વન્યજીવોની જાળવણીના મહત્વ વિશે તથા નાર જેવા શિકારી પ્રાણી વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ વિશે ભાલ વિસ્તારનાં વિધાર્થીઓ દ્વારા સુંદર રજૂઆત થતાં ગામલોકોએ આ કાર્યક્રમને સહર્ષ આવકાર્યો હતો અને દરેક વન્યપ્રાણી ખૂબ જ મહત્વનાં હોય જેથી આવું કોઈપણ વન્યપ્રાણી ભયગ્રસ્ત અવસ્થામાં જોવા મળે તો તાત્કાલીક વન વિભાગના સ્ટાફને જાણ કરવાં માટે ગ્રામજનોને સંપર્ક નંબરો આપી માહિતગાર કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં મરીન સાયન્સ ભવનનાં અધ્યક્ષ પ્રો.આઈ.આર.ગઢવી તથા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનનાં મદદનીશ વન સંરક્ષકશ્રી એમ.એચ.ત્રિવેદીનાં માર્ગદર્શનમાં મરીન સાયન્સના કોલેજનાં વિદ્યાર્થીઓ તથા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનનાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી ડી.જી.ગઢવી તથા રેન્જ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
Recent Comments