ભાવનગર

મહુવામાં શ્રી મોરારિબાપુ રામકથા ‘માનસ ભૂતનાથ’ વિરામ 

દિવાળીના દિવસોમાં બીજાનાં ઘરમાં અજવાળા કરવાં શ્રી મોરારિબાપુએ વ્યક્ત કરી ટહેલમહુવામાં રામકથા ‘માનસ ભૂતનાથ’ વિરામ મહુવા રવિવાર તા.૫-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)વડલી મહુવામાં રામકથા ‘માનસ ભૂતનાથ’ વિરામ આપતાં શ્રી મોરારિબાપુએ પ્રસંગ વર્ણન સાથે દિવાળીના દિવસોમાં બીજાનાં ઘરમાં અજવાળા કરવાં ટહેલ વ્યક્ત કરી.ખૂબ પ્રસન્નતા અને મોકળાશ સાથે ‘માનસ ભૂતનાથ’ રામકથાના ગાન કરવાં સાથે આજે વિરામ આપતાં શ્રી મોરારિબાપુએ વિવિધ પ્રસંગ વર્ણન સાથે દિવાળીના દિવસોમાં બીજાનાં ઘરમાં અજવાળા કરવાં ટહેલ વ્યક્ત કરી. આ સાથે જ તુલસીદાસજીએ રામાયણજીના સાર રૂપ પંક્તિઓ દ્વારા કળિયુગમાં હરી નામ બેડો પાર કરનાર છે તેમ ઉલ્લેખ કર્યાનું જણાવ્યું.

ભૂતનાથ મહાદેવ સાનિધ્ય સાથે વડલી મહુવામાં સ્વાંત સુખાય ‘માનસ ભૂતનાથ’ રામકથામાં શ્રી મોરારિબાપુએ ‘તાજા સમાચાર’ અને ‘સારા સમાચાર’ રૂપક પ્રસંગો સાથે સત્ય અને વિદ્વાન વિશે જણાવ્યું કે, સત્યને સ્વીકારે તે અને સત્યને સહન કરે તે વિદ્વાન. કેટલીક રૂઢિઓ સામે રંજ વ્યક્ત કરવા સાથે જ કેટલીક રૂઢિઓ રસવર્ધક હોવાનું જણાવી, આવી રૂઢિઓની હિમાયત પણ ભારપૂર્વક કરી.

શ્રી તુલસીદાસજીના કવિતાવલી અંતર્ગત ‘ભૂતનાથ ભયહરન ભીમ…’ પંક્તિ કેન્દ્રમાં રાખી યોજાયેલ આ કથામાં આજે ભૂતનાથ મહિમા રજૂ કરતાં કહ્યું કે, ભૂતનાથ એ જ કલ્યાણનું ઘર છે. શિવ તત્ત્વમાં તો નિજ કલ્યાણ, જન કલ્યાણ, વિશ્વ કલ્યાણ વગેરે કેટલાંયે કલ્યાણ રહેલાં છે. રામકથાના ઉત્તરકાંડ વર્ણન સાથે કાકભુશુંડીજી અને ગરુડજી, યાજ્ઞવલ્કજી અને ભારદ્વાજજી તથા શિવજી અને પાર્વતીજીના સંવાદ વિરામ વર્ણન સાથે કથા સમાપન કરાવતાં શ્રી મોરારિબાપુએ નિમિત્તમાત્ર યજમાન પરિવાર પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી.

શ્રી દાનાભાઈ કળસરિયા, શ્રી પરેશભાઈ કળસરિયા ફાફડાવાળા પરિવાર દ્વારા આહિરજ્ઞાતિના નિમિત્ત માત્ર યજમાન પદે આ કથા સાથે ભૂતનાથ મહાદેવ સંકુલ નવનિર્માણ માટે લગભગ એક કરોડ રૂપિયાથી વધુનો ફાળો એકત્ર થયો છે.

કથા વિરામ સમયે શ્રી પરેશભાઈ કળસરિયાએ ભાવપૂર્ણ આભાર વિધિ કરતાં કહ્યું કે, સફાઈ કરનારથી સરકાર સુધીના સૌનો પૂરો સહયોગ સાંપડ્યો છે. તેઓ કાયમ આવા કાર્યો કરી શકે તેવી કૃપાને લાયક રહે તેવી વ્યાસપીઠ પાસે પ્રાર્થના કરી.

રામકથામાં કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ ( ધરમપુર), શ્રી રાજુદાદા જોષી (ડેડાણ), શ્રી જયશ્રી માતાજી, શ્રી કનુભાઈ કળસરિયા તેમજ ધાર્મિક સામાજિક ક્ષેત્રના મહાનુભાવ અગ્રણીઓ જોડાયા હતા.

Related Posts