આયુષ્માન ભારત : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/citywatch-16-300x132-4-1140x528.jpg)
ભારતના નાગરિકોને આરોગ્ય સુરક્ષા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં આરોગ્ય કવચની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષા કવર સ્વરુપ આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. શરુઆતમાં આ આયુષ્માન કાર્ડની મદદથી લાભાર્થીને રુ.૫ લાખ સુધીની સારવારના ખર્ચ માટેનો લાભ મળી શકતો હતો. હવે આ યોજના અન્વયે આયુષ્માન કાર્ડ ધારક રુ.૧૦ લાખ સુધીની મર્યાદામાં સારવાર ખર્ચનો લાભ મેળવી શકે છે.
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. તાજેતરમાં જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના બાઢડા પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલાના બાઢડા ગામના વતની શ્રી મનિષભાઈ ડી. વાઘોરાએ ‘મેરી કહાની-મેરી જુબાની’ અંતર્ગત પોતાના સ્વ-અનુભવો શેર કર્યા હતા. શ્રી મનિષભાઈના પિતાશ્રીને કેન્સર હતું. તેઓની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી કે આ સારવાર ખર્ચને પહોંચી વળે! શ્રી મનિષભાઈ અને પરિવાર પાસે આયુષ્માન કાર્ડ હોય આથી તેમને સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે સારવાર મફતમાં મળી હતી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે સારવાર મફતમાં મળતા શ્રી મનિષભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સારવારમાં સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. આ મદદથી આર્થિક રીતે નબળા પરિવારને આરોગ્ય સુરક્ષા કવચ મળી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અમારા માટે વરદાન સમાન સાબિત થયું છે.
સંવેદનશીલ કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની આરોગ્ય વિષયક સારવાર ઉપલબ્ધ થાય તેવી રીતે કલ્યાણકારી યોજનાઓ ઘડીને તેનું સુદ્રઢ અમલીકરણ થઈ રહ્યું છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે સરકારી દવાખાના થકી લોકો આરોગ્ય વિષયક સેવાઓ આસાનીથી મેળવી રહ્યાં છે. આરોગ્ય સુવિધાના સુદ્રઢીકરણ માટે મક્કમ રાજ્ય સરકારે જ્યાં દવાખાના ન હતા ત્યાં નવા દવાખાના શરૂ કર્યા, જ્યાં દવા ન હતી ત્યાં દવા પહોંચાડી, જ્યાં આરોગ્યલક્ષી સાધનોની ઉણપ હતી ત્યાં સાધનો પહોંચતા કર્યા છે. દવા, ડોક્ટર, સેવા, સુશ્રુષા બધું જ… અને એના પગલે ગુજરાતમાં સર્જાઈ છે એક આરોગ્ય સુવિધાની સેવા સભર અદ્ભૂત શૃંખલા. ગુજરાતની આરોગ્ય સેવાઓની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ રહી છે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રુ. ૦૫ લાખથી વધારીને રુ.૧૦ લાખ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ એ એવી સુવિધા છે કે તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે. પરિવાર પર આવેલ આવી આરોગ્યલક્ષી આપત્તિ અને તેની અસરોને પહોંચી વળવા માટે યોગ્ય સારવાર થાય અને તે સારવાર માટે થતાં મોટી રકમના ખર્ચની નબળી અસરો સામે રક્ષણ મળી રહેશે.
Recent Comments