ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદનેમ પ્લેટના ર્નિણય પર સુપ્રીમ કોર્ટમાં UP સરકારનો જવાબ
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો, ત્યારબાદ યોગી સરકારના આદેશ બાદ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો હતો. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી ૨૨ જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી શુક્રવાર (૨૬ જુલાઈ) સુધીમાં જવાબ માંગ્યો હતો
અને જ્યાં સુધી રાજ્યો જવાબ ન આપે ત્યાં સુધી આ આદેશ હોલ્ડ પર મૂકવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં આગામી સુનાવણી આજે ૨૬મી જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટે નેમ પ્લેટ વિવાદ પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી હતી અને શુક્રવાર એટલે કે ૨૬મી જુલાઈ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જેના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, સૌહાર્દ અને શાંતિ જાળવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે કોર્ટને કહ્યું કે કાવડ માર્ગ પરની ખાણીપીણીની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાની આ સૂચના ભૂલથી પણ કાવડિયાઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે જાહેર કરવામાં આવી હતી.
સરકારે કહ્યું કે આ આદેશનો અમલ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભૂલથી પણ કાવડિયાઓ કોઈ પણ દુકાનમાંથી એવું કંઈ ન ખાતા કે જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે, કાવડિયાઓને પીરસવામાં આવતી ખાદ્યપદાર્થો અંગેની નાની-નાની ગેરસમજાેથી પણ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે. મુઝફ્ફરનગરનો ઉલ્લેખ કરતા, સરકારે કોર્ટમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગર જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટનાઓ પ્રથમ વખત પ્રકાશમાં આવી છે, જ્યાં ખોરાકને લઈને મૂંઝવણ ઊભી થઈ, ગેરસમજને કારણે તણાવ અને અરાજકતા સર્જાઈ. આવી હાલત ફરી પેદા ન થાય તે માટે નેમપ્લેટનો આદેશ આપવામાં આવ્યો હતો.
યુપી સરકારે નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીઓને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી હતી. સરકારે કહ્યું કે, અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા નથી અને તથ્યો પણ સ્વીકાર્ય નથી. આ અરજીઓને કોર્ટે ફગાવી દેવી જાેઈએ, કારણ કે આ રાજ્યની જવાબદારીનો મામલો છે અને સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ જાહેર કર્યો હતો. યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કાવડ યાત્રા દરમિયાન ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરીને અને દુકાનદારોના નામ દર્શાવવાથી બંધારણના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થતું નથી. તેમજ યુપી સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે યોગ્ય આદેશ જાહેર કરવા વિનંતી કરી હતી.
યુપી સરકારે કહ્યું કે કાવડ યાત્રા દરમિયાન યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નેમ પ્લેટનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ આદેશ અચાનક લેવામાં આવ્યો ન હતો પરંતુ આ પહેલા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને તેને નિર્ધારિત કાયદા મુજબ લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. નેમ પ્લેટના આદેશ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં નેમ પ્લેટ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર રહેશે નહીં. તમારે ફક્ત ખોરાકના પ્રકારો જણાવવા પડશે. કાવડીઓને શાકાહારી ખોરાક મળવો જાેઈએ અને સ્વચ્છતા જાળવવી જાેઈએ. જાે કે, એ જણાવવું જરૂરી છે કે ખોરાક શાકાહારી છે કે માંસાહારી. આ કેસની આગામી સુનાવણી આજે એટલે કે ૨૬ જુલાઈએ થશે.
Recent Comments