ગુજરાત

કિન્નરનો વેશ ધારણ કરી વિધિ કરવાના બહાને રૂપીયા, સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની ધરપકડ

શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એ એક વ્યક્તિ ની ધરપકડ કરી છે, જે કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપીયા અને સોનાના દાગીનાની ચોરી કરતો હતો. આ આરોપી કોઇ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઇ મહીલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યાર બાદ તેમના ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઇ જતો હતો.

આ વ્યક્તિ મૂળ રાજકોટના પડધરીના તરઘડી ગામનો રહેવાસી છે.જે કિન્નરનો વેશ ધારણ કરતો હતો અને એવા મકાનો ટાર્ગેટ કરતો કે જ્યાં મહીલા એકલી હોય અને એકલતાનો લાભ લઇને મહિલાઓને વિશ્વાસમાં લઇ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો હતો. બાદમાં ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ તેમજ રોકડ રકમ લઇને ફરાર થઇ જતો હતો.

પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી ગત ૧૫મી માર્ચના દિવસે નારણપુરામાં આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો. જ્યાં એક મહીલાના ઘરે જતા મહીલાએ તેને ૫૦ રૂપીયા આપ્યા હતાં, પરંતુ તેણે ચા પીવાની ઇચ્છા દર્શાવતા મહીલાએ તેને ઘરમાં બેસાડ્યો હતો. બાદમાં આ ઘરમાં કોઇએ મેલીવિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. જાે કે મહીલાએ મેલીવિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડા રૂપિયા લીધા હતા. આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો.

બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને મહીલાને પાર્કિગમાં ઉભી રાખીને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.પોલીસે તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોલીસથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને વારંવાર મોબાઇલ નંબર પણ બદલી નાંખતો હતો. એટલું જ નહીં તે માત્ર તેના પરિવારનો જ સંપર્ક રાખતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં પકડાઇ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે

Related Posts