અમરેલી

અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરુપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં ઉજવણી થશે. વિકાસ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.વિકાસ સપ્તાહ અંતર્ગત તા.૮-૧૦-૨૦૨૪ના રોજ જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ, તા.૯-૧૦-૨૦૨૪ના તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે ઉપરાંત તા.૧૦-૧૦-૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો જોડાશે.

ઉલ્લેખનીય છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા અને તે સાથે રાજ્યના વિકાસ યાત્રાનો નવો અધ્યાય શરુ થયો હતો.રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી નાગરિકોને જોડીને વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી થશે.

ભારત વિકાસ પ્રતિજ્ઞા’

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.

* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.

* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.

* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી એ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts