ગુજરાત

જિલ્લા સંકલનમાં રજૂ કરાયેલાં પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવીએ: જિલ્લા કલેક્ટર સુજિત કુમાર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસીની ઝૂંબેશમાં પદાધિકારીઓને સહયોગ આપવા અપીલ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગેરકાયદે દબાણો દૂર કરવા, રસ્તાઓ પહોળા કરવા તેમજ રસ્તાનાં ચાલું કામો પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ, સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી.
જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી.
આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક ર્નિણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી અમિત ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), સુશ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી અમૂલ ભટ્ટ, શ્રી ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટરશ્રી ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી હાર્દ શાહ , ઉચ્ચ પોલીસ અધિકારી,સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts