અમરેલી

ખેડૂતોએ ચોમાસુ ઋતુ માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદીમાં કાળજી રાખવી

અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે જરુરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજીઓ અંગે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

ખેડૂતોએ છેતરપિંડીથી બચવા માટે બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ – પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.

કોઈપણ સંજોગોમાં લાઇસન્સ – પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરુરી વિવિધ ઈનપુટ્સની ખરીદી કરવી નહિ. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા બીટી કપાસના ભાવ નક્કી કર્યા છે, તે મુજબ બોલગાર્ડ-૧ (BG-1)ના રુ.૬૩૫ અને બોલગાર્ડ-૨ (BG-2)ના રુ. ૯૦૧ છે, જે ભાવથી વધારે કોઈપણ વિક્રેતા વહેંચાણ કરી શકશે નહિ.

બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલા ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું.  કોઈ પણ સંજોગોમાં મુદ્દત પૂરી થઈ હોય તેવા ઈનપુટ્સની ખરીદી કરવી નહિ.

અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે તો  સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી -વિસ્તરણને તુરંત જાણ કરવી.

ખરીદી કરી હોય તેવા બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં કોઈ ફરિયાદ જણાય તો આવી ફરિયાદના નિવારણ અર્થે સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાએ ઉભા પાકની કમિટીની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ જે-તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ બાગાયત નિયામક તથા સભ્ય તરીકે જે-તે જિલ્લાના નાયબ ખેતી નિયામક – વિસ્તરણ તથા કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉભા પાકની ફરિયાદ માટે અરજદાર દ્વારા સંબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી / નાયબ બાગાયત નિયામકને ફરિયાદ કરવી તથા ફરિયાદના આધારે ઉભા પાકની કમિટી દ્વારા સ્થળ મુલાકાત કરી જ તે હકીકત હોય તે મુજબ પંચ રોજકામ સાથે નિયત અહેવાલ ખેડૂતને આપવામાં આવે છે. જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરુપ થાય છે, તેમ અમરેલી જિલ્લા નાયબ ખેતી (વિસ્તરણ) નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts