અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસની ગાથાને વર્ણવતી પુસ્તિકા ‘વિકાસ વાટિકા ૨૦૨૪-૨૫’નું અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કરેલા વિવિધ વિકાસકાર્યોની ધ્યાનાકર્ષક વિગતોને આ પુસ્તિકામાં આવરી લેવામાં આવી છે.
‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લા માહિતી કચેરીની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. વિકાસ વાટિકાના સુકાની તરીકે તેમણે આ પુસ્તિકાના નિર્માણમાં સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લાઠી ખાતેથી થયેલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અમરેલી જિલ્લામાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ લક્ષી પરિસંવાદો તેમજ કાર્યક્રમો, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેમાં અમરેલી શહેરને મળેલી અત્યાધુનિક બસ પોર્ટની ભેટ, રાજમહેલ અમરેલીના પુનરોદ્ધારનું ખાતમુહૂર્ત સહિતના આઇકોનિક વિકાસકાર્યોની ગાથાઓને આવરી લેવાામાં આવી છે.
આ પુસ્તિકામાં, અમરેલી જિલ્લાની કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળવિકાસ, મસ્ત્યોદ્યોગ સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના વિકાસકાર્યોને આવરી લેતી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આ પુસ્તિકા ‘વિકાસ વાટિકા ૨૦૨૪-૨૫’માં અમરેલી જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસનો સાર જાણી શકાશે.
વિમોચન વેળાએ અમરેલી જિલ્લા નાયબ માહિતી નિયામકશ્રી તેમજ અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીશ્રીઓને પુસ્તિકાના વિમોચન બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments