ગુજરાત

હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે. 

દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થવા પામી હતી. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભગવાન દ્વારકાધીશ જગત મંદિર અને છપ્પન સિઢી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટ્યા હતા. દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક અડધા થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાણવડ પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. નાવદ્રા અને લાંબા વચ્ચેનો ભોગાત લાંબા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દ્વારકાના ભાટિયા ગામ આસપાસના વિસ્તારોમાં ભા્રે વરસાદ પડ્યો હતો. ભાટિયા ગામ બહારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા અવર જવરમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભાટિયા આસપાસના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

સમગ્ર દિવસ દરમિયાન દ્વારકામાં 4 ઈંચ જેટલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. બિરલા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. લોકો ભરેલા પાણી વચ્ચે જવા માટે મજબૂર બન્યા હતા. બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુઘી પાણી ઘુસ્યા હતા. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.

દ્વારકા પંથકમાં ભારે વરસાદના કારણે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. ભદ્રકાળી ચોકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ઘૂંટણ સમા પાણી વચ્ચે પ્રાંત અધિકારીએ ભદ્રકાળી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફીસરને તાકીદ કર્યા હતા. હજુ પણ ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાવા પામી હતી. ભારે વરસાદની મામલદતારની ટીમને એલર્ટ રખાયા છે. ભારે વરસાદથી ઈમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. સરકારી આંકડા મુજબ 113 એમ.એમ. જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો હતો.

શનિવારે વડોદરામાં બપોરના સમયે વરસાદ (RAIN – VADODARA) નું ભારે ઝાપટું આવ્યું હતું. જેમાં જ શહેરના નીચાણવાળા વિસ્તા માંડવી, અને લકડીપુલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા. અને રોડ સાઇડમાં દુકાન ધરાવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ શહેરનું મહત્વનું ગણાતું અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ જતા તેમાંથી ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ સયાજીગંજમાં ભરાતા મોટા શાક માર્કેટમાં પાણી ભરાઇ જતા રોજ ફળ-શાકભાજી વેચીને જીવન ગુજારતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરોક્ત પરિસ્થિતીઓ જોતા પાલિકાનું તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો અંદાજો શહેરીજનોને આવી ગયો છે.

વડોદરામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેર તરબતર થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની સપાટી 11.90 જોવા મળી રહી છે. બીજી તરફ લકડીપુલ અને રાવપુરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવર-જવર પર ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ વરસાના ઝાપટામાં જનજીવન ખોરવાયું છે. શહેરના મહત્વના ગણાતા અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ જો વધારે વરસાદ પડે તે ગરનાળું બંધ કરી દેવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ સાથે સયાજીગંજ શાક-ફળ માર્કેટ આસપાસ પાણી ભરાતા વિક્રેતાઓની ચિંતા વધી છે.

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આઠમીથી 10મી જુલાઈની આગાહી

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Related Posts