અમરેલી

ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ખાંભા મુકામે જિલ્લાકક્ષા ‘ગણતંત્ર પર્વ’ની ભવ્ય ઉજવણી થશે

ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશ: રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી. ઉપરાંત દેશભક્તિ-શૌર્ય-સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ સહિતના વિષયોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે.

ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં એકતા છે. ભારતના અનેક સ્વાતંત્ર્યવીરો-વીરાંગનાઓએ દેશની આઝાદીમાં પોતાનું અનન્ય બલિદાન આપ્યું છે. ભારતના બંધારણ ઘડવૈયાઓએ દૂરંદેશી સાથે બંધારણ ઘડતર કરીને દેશને ચોક્કસ દિશા આપી છે. તા. ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦ના રોજ ભારતના બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. ભારતનું લેખિત બંધારણ ભારતની લોકશાહીને ગૌરવાંવિત કરી રહ્યું છે. ભારત સતત અને અવિરત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. આવો, સૌ જિલ્લાકક્ષાની ૭૭માં ગણતંત્ર-પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બનીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની શક્તિને વધુ બળવાન બનાવીએ.

Related Posts