રાજ્ય સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી “નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજના ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થિનીઓને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્તરે શિક્ષણ સતત ચાલુ રાખવા માટે આર્થિક આધાર પૂરું પાડવાનો છે, જેથી શિક્ષણ છોડવાની પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ આવી શકે. આર્થિક સ્થિતિ જેવા સંજોગોના કારણે અભ્યાસ પડતો મૂકીને વિદ્યાર્થિનીઓ પોતાના સ્વપ્ન સાકાર ન કરી શકે તેવી સ્થિતિમાં આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.બી.ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫–૨૬ દરમ્યાન અમરેલી જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ કરવામાં આવ્યો છે. જિલ્લાની કુલ ૧૯,૫૨૦ વિદ્યાર્થિનીઓને “નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજનાના લાભરૂપે રૂ. ૧૨,૨૮,૩૦,૦૦૦ની સહાયતા ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાના અમલથી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે. આ યોજનાના કારણે અનેક દીકરીઓ શાળામાં નિયમિત રીતે ભણવા જોડાઈ છે અને તેમના શૈક્ષણિક વિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે. સરકારની આ પહેલ દીકરીઓના શિક્ષણને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
તેમણે ઉમેર્યું કે, આ સ્કોલરશીપના લીધે અમરેલી શહેરની જ ટી.પી.એમ.ટી ગર્લ્સ સ્કૂલની બે દીકરીઓ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આગળ અભ્યાસ કરવાની ન હતી પરંતુ નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાનો લાભ મળતા આ બંને દીકરીઓ પોતાનું ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ હવે પૂર્ણ કરશે.
આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની ૬૭ શાળાઓની ૩,૫૯૯, બાબરા તાલુકાની ૨૪ શાળાઓની ૧૫૩૫, લાઠી તાલુકાની ૦૯ શાળાની ૧,૬૬૯, લીલીયા તાલુકાની ૩૨ શાળાની ૬૪૯, કુંકાવાવ તાલુકાની ૨૪ શાળાની ૮૩૦, બગસરા તાલુકાની ૧૬ શાળાની ૧૧૧૭, ધારી તાલુકાની ૨૧ શાળાની ૧,૩૯૦, ખાંભા તાલુકાની ૧૮ શાળાની ૧,૧૧૩, રાજુલા તાલુકાની ૩૯ શાળાની ૨,૮૪૧, જાફરાબાદ તાલુકાની ૨૧ શાળાની ૧,૮૬૨, સાવરકુંડલા તાલુકાની ૪૫ શાળાની ૨,૯૧૫ વિદ્યાર્થિનીઓ મળી જિલ્લાની ૩૧૬ શાળાઓની ધો. ૯-૧૨ની ૧૯,૫૨૦ વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપ દ્વારા પોતાના શિક્ષણમાં પૂરક સહાયતા મળી છે. આ યોજનાના લીધે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવવાની માનસિકતા મજબૂત બની છે.
“નમો લક્ષ્મી યોજના” અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ની વિદ્યાર્થિનીઓને માસિક આધાર પર સહાય આપવામાં આવે છે, જ્યારે ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વધુ પ્રોત્સાહક દરે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહનરૂપે નિર્ધારિત ધોરણ પાસ કર્યા બાદ વધારાની સહાય પણ આપવામાં આવે છે. સમગ્ર સહાય રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા થતી હોવાથી પારદર્શિતા અને સમયબદ્ધ ચુકવણી સુનિશ્ચિત થાય છે.
આ યોજના અંતર્ગત અમરેલી ધો. ૯-૧૨ની ૧૯,૫૨૦ વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપ દ્વારા પોતાના શિક્ષણમાં પૂરક સહાયતા મળી છે. આ યોજનાના લીધે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવવાની માનસિકતા મજબૂત બની છે.
“નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી સીમિત નથી, પરંતુ તે દીકરીઓના આત્મવિશ્વાસ, શૈક્ષણિક સ્થિરતા અને સામાજિક સશક્તિકરણ તરફનો એક મહત્વપૂર્ણ પગથિયો છે. અમરેલી જિલ્લાની ઉપલબ્ધિ એ દર્શાવે છે કે સરકારની યોગ્ય નીતિ, સમયસર અમલ અને વહીવટી સમન્વય દ્વારા શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાલીન સકારાત્મક બદલાવ શક્ય બની રહ્યો છે.


















Recent Comments