અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ ​જે.વી.મોદી હાઇસ્કુલમાં ‘વિદ્યાર્થી સન્માન’ અને ‘વિદાય સમારંભ’ની ભવ્ય ઉજવણી

શ્રી નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત જે.વી.મોદી હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી તારલાઓનો ‘સન્માન સમારોહ’ અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓનો ‘વિદાય સમારંભ’ ભાવસભર વાતાવરણમાં યોજાઈ ગયો હતો.

​વર્ષ દરમિયાન શાળામાં આયોજિત સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, ચિત્રકામ, રમતગમત, વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, ગ્રાહક સુરક્ષા સપ્તાહ અને વિવિધ પ્રમાણપત્ર પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો, ગિફ્ટ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

​આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સામાજિક જવાબદારીનું પણ દર્શન થયું હતું. શાળાના વિશિષ્ટ શિક્ષક વિમલભાઈ પંડ્યાના સહયોગથી દિવ્યાંગ બાળકોને મહાનુભાવોના હસ્તે ‘દિવ્યાંગ કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું.

​કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

​શ્રી પાંધી સાહેબ (પત્રકાર, ‘આપણું કુંડલા’): તેઓએ શાળાના ભવ્ય ઇતિહાસને યાદ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

​શ્રી વિનુભાઈ રાવલ (ટ્રસ્ટી, શ્રી નૂતન કેળવણી મંડળ): તેઓએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ‘હકારાત્મક અભિગમ’ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

​ શાળાના વિદ્યાર્થી ગોહિલ ઉત્સવે પોતાના શાળા જીવનના સંસ્મરણો અને અનુભવો રજૂ કરતા વાતાવરણ લાગણીસભર બન્યું હતું.

​આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા અને મેનેજિંગ ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચાએ અનિવાર્ય કારણોસર રૂબરૂ ન આવી શકતા ટેકનોલોજીના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રી જાબીરભાઈ ચૌહાણ, દીપકભાઈ શેઠ સહિતના મહાનુભાવો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts