અમરેલી

કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામડાઓમાં એકસાથે “જળસંચય અભિયાન”નો પ્રારંભ : તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્નો થકી સતત અને અવિરત જળ સંચય અભિયાન આગળ ધપી રહ્યું છે. જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જળસંરક્ષણ માટે ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

આજરોજ કુંકાવાવના જંગર મુકામે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ૧૦૦ ટકા વીજળીમુક્ત – સોલાર વિલેજ, ગ્રામ્ય મોડેલ તળાવ લોકાર્પણ તથા ‘જળ સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને પી.જી.વી.સી.એલના સી.એસ.આર ફંડના સહયોગથી ૪૫ ગામના તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનું સંયુક્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  કુલ ૪૫ હીટાચી મશીનની ફાળવણી કરવામાં આવી હતી. જળ સંરક્ષણના ભગીરથ કાર્ય માટે PGVCL દ્વારા અંદાજિત કુલ રૂ. ૬.૫ કરોડથી વધુની રકમનું CSR ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.

જંગર ગામ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અને ગામના દાતાશ્રીઓના સંયુક્ત સહયોગથી ૧૦૦ ટકા વીજળીમુક્ત ગામ બન્યું છે. દરેક ઘર પર સોલાર ઇન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામના દાતા અને વતનના રતન એવાં શ્રી રવજીભાઈ પી. વસાણી ગૃપ (અમદાવાદ) પરિવારનો ખૂબ મોટો સહયોગ છે. રાજ્યમંત્રીશ્રીએ મોડેલ સોલાર વિલેજ અને મોડેલ તળાવનું લોકાર્પણ કર્યું હતું.

આ તકે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, આપણે આપણાં વર્તમાનની સાથે ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત બનાવવી છે. જળ સંરક્ષણના કાર્યો આપણી આગામી પેઢીઓને સુરક્ષિત બનાવશે, ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને અનેક વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. આજે સમગ્ર જિલ્લામાં ચારેદિશામાં રોડ-રસ્તા, આંગણવાડી, પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગના બાંધકામની કામગીરી, જળસંચયના વિકાસકામો તેજ ગતિએ આગળ ધપી રહ્યા છે. જિલ્લાના ‘સર્વાંગી વિકાસ’ની નેમને સાકાર કરવાનો ભગીરથ સંકલ્પ સિદ્ધ કરવો છે. તેમણે અનેકવિધ વિકાસકાર્યોની ભેટ બદલ રાજ્ય સરકારનો ધન્યવાદ કર્યો હતો.

જંગર મુકામે સોલાર વિલેજ, ગ્રામ્ય તળાવ લોકાર્પણ તથા ‘જળ સંમેલન’ કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતના હોદ્દેદારો, અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા, જંગર ગામના સન્માનનીય દાતાશ્રીઓ, સ્થાનિક આગોવાનો, ૪૫ ગામના સરપંચશ્રીઓ, પી.જી.વી.સી.એલ એમ.ડી શ્રી જોષી, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, પી.જી.વી.સી.એલ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts