અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સતત કુદરતી આફતોના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં આવેલ ‘તૌકતે’ વાવાઝોડા પછી ખેડૂતો હજુ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ શક્યા નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪-અને ૨૦૨૫ દરમિયાન થયેલી અતિવૃષ્ટિ અને વારંવારના કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે.
તાજેતરમાં તા. ૧૯/૦૩/૨૦૨૬ના રોજ ભર ઉનાળામાં પડેલા કમોસમી વરસાદ અને પવનના કારણે ઉભા પાકો જેમ કે ઘઉં, ચણા તથા બાગાયતી પાકોમાં ખાસ કરીને કેરીને ગંભીર નુકસાન થયું છે.પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે ખેડૂતો બિયારણ, ખાતર, દવાઓ અને ડીઝલ જેવા ખર્ચ માટે બેંક અને ખાનગી સ્રોતોમાંથી ધિરાણ લઈને ખેતી કરે છે, પરંતુ સતત પાક નિષ્ફળ જતા તેઓ માટે લોનના હપ્તા તથા વ્યાજ ચૂકવવું મુશ્કેલ બની ગયું છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોના હિતમાં દેવા માફી અને પૂરતા વળતરની તાત્કાલિક પગલાં લેવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર પાઠવીને ખેડૂતોને ભારે નુકસાન: દેવા માફી અને પૂરતા વળતરની માંગ કરવામાં આવી છે.
















Recent Comments