ગુજરાત રાજ્યના નોંધાયેલ એડવોકેટોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી સર્કિટ હાઉસ ખાતે વકીલોને પણ સરકારી દરે રોકાણની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે કાયદા અને ન્યાય મંત્રીશ્રી કૌશિક વેકરિયાને એડવોકેટ દેવર્ષિ બોરીસાગર દ્વારા લેખિતમાં નમ્ર રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત દરમિયાન એડવોકેટ દેવર્ષિ બોરીસાગરે જણાવ્યું હતું કે, કોર્ટ કેસ કે ન્યાયિક કામગીરી અર્થે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અવારનવાર પ્રવાસ કરતા વકીલોને રહેવાની યોગ્ય અને આર્થિક રીતે પરવડે તેવી સુવિધા મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. જો રાજ્ય સરકાર દ્વારા સર્કિટ હાઉસમાં એડવોકેટો માટે સરકારી દરે રોકાણની સુવિધા માટે જરૂરી નીતિગત નિર્ણય લેવામાં આવે, તો તેનાથી ખાસ કરીને યુવા વકીલો તેમજ બહારગામ પ્રેક્ટિસ કરતા એડવોકેટોને ખુબ મોટી આર્થિક અને વ્યવહારિક રાહત મળશે.
આ પ્રકારના હકારાત્મક નિર્ણયથી વકીલો માટે ન્યાયિક કામગીરી વધુ સુગમ બનશે અને સમયનો બચાવ થશે. વકીલ સમાજની આ વ્યાજબી અને ન્યાયિક માંગણી પર રાજ્ય સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને વહેલી તકે સાનુકૂળ નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.














Recent Comments