અમરેલી

સાવરકુંડલામાં આઠમા નોરતે ભક્તિનો મહાસંગમ: ૧૫૦ કન્યાઓના પૂજનથી ગુંજી ઉઠ્યું. આધ્યાત્મિક વાતાવરણ

દીકરીમાં દેખાયા આજે 

સાક્ષાત્ અંશ અંબાના,

સાવરકુંડલામાં ખીલ્યા પુષ્પો                             ભક્તિના ને શ્રદ્ધાના.

–“પાંધી સર”

ચૈત્ર નવરાત્રીના પવિત્ર અષ્ટમીના અવસરે સાવરકુંડલા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ ક્લાસમાં એક અવિસ્મરણીય અને ભવ્ય કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિક ઊર્જા અને મા શક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે અંદાજિત ૧૫૦ જેટલી નાની બાળાઓનું પૂજન કરી સમાજમાં નારી શક્તિ અને સંસ્કારનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

​હિંદુ સંસ્કૃતિમાં મહાગૌરીના પૂજનનું વિશેષ મહત્વ છે, જેને સાર્થક કરતા આ કાર્યક્રમમાં કન્યાઓને માતાજીનો સાક્ષાત્ અંશ માની તેમની આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર પરિસર ભક્તિમય મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય રાજુબાપુ ગૌસ્વામીએ તમામ કન્યાઓને આશીર્વાદ પાઠવી દક્ષિણા અર્પણ કરી હતી. સાથે જ કન્યાઓને શણગારની વિવિધ ભેટ વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

​આ આયોજનને સફળ બનાવવા માટે બીના ડી. જોશી, જાગૃતિબેન આર. ગૌસ્વામી, અંકિતાબેન એચ. રાઠોડ, જીજ્ઞાશાબેન એચ. પલાણ, રૂપલબેન વી. ગૌસ્વામી અને જીજ્ઞાશાબેન અધ્વર્યુ સહિત યોગ ક્લાસની તમામ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના કાર્યક્રમો નવી પેઢીમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે આસ્થા મજબૂત કરવાનું કાર્ય કરે છે.

Related Posts