રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી આજે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ૧૯ વર્ષ સુધીના ૧ કરોડ ૮૪ લાખથી વધુ કિશોર-કિશોરીઓને કૃમિનાશક દવા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે રસપ્રદ સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવો કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી હતી.
આ અવસરે તેમણે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા આરોગ્ય કમિશનર ગ્રામ્ય ડો. રતનકવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, બાળકોમાં કૃમિના કારણે થતા રોગોને અટકાવવા આ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ છે. આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આંગણવાડી કાર્યકરોના સહિયારા પ્રયાસોથી રાજ્યનું એક પણ બાળક આ દવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. જોષી, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નયન જાની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments