અમરેલી શહેરમાં એક એવી પિક્ચર ગેલેરી આવેલી છે, જ્યાં તસવીરોના માધ્યમથી ઇતિહાસ નજરની સામે તરવા લાગે છે. આ ચિત્ર પ્રદર્શની અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્યવીરો કે,જેમણે દેશની આઝાદીના ચળવળમાં અનન્ય યોગદાન આપ્યું છે તેવા અમરનાયકોના જીવનમાં ડોકિયું કરાવે છે. સાથે જ આઝાદીના મહત્વપૂર્ણ ઘટના-પ્રસંગોની અવિસ્મણીય યાદોને તાદ્રશ્ય કરે છે.
આ પિક્ચર ગેલેરી અમરેલી શહેરમાં આવેલા શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલયમાં સ્થિત છે. અહીં સ્વાતંત્ર્યવીરોની અનેક દુર્લભ તસવીરો ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની જીવનયાત્રાને ઉજાગર કરતી અલભ્ય તસવીરો અને માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય, બાલ ભવન અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક શ્રી નિલેશ પાઠક જણાવે છે કે, સ્વાતંત્ર્ય પર્વની ૮૦મી રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીના આંગણે યોજાઈ રહી છે, જે સમગ્ર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની વાત છે. આ અવસરે રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરનારા સ્વાતંત્ર્યવીરોને યાદ કરવાનો અને તેમના જીવનમાંથી દેશપ્રેમ, રાષ્ટ્રસેવા તથા કર્તવ્યનિષ્ઠાની પ્રેરણા મેળવવાનો પણ ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૧૯૮૪માં સ્થાપિત આ વીથિકામાં અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્યવીરો તેમજ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના જીવન-કવનને ઉજાગર કરતી દુર્લભ તસવીરો સચવાયેલી છે. આ ગેલેરી માત્ર ઇતિહાસની યાદોને જાળવી રાખતી નથી, પરંતુ નવી પેઢીને રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારી માટે પણ પ્રેરિત કરે છે.
તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો અને જિલ્લાના તમામ નાગરિકોને શહેરના રામજી મંદિર સામે આવેલા શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલયની આ પ્રેરણાદાયી ગેલેરીની મુલાકાત લેવા અપીલ કરી હતી. ગેલેરીનો સમય સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી તથા બપોરે ૩:૩૦થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધીનો છે. તેમણે ઉમેર્યું કે,
સંગ્રહાલય ખાતું, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ,ગુજરાત સરકારના સહયોગથી કાર્યરત આ સંગ્રહાલયમાં નવા આયામો ઉમેરાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના રાષ્ટ્રીય ચળવળમાં ફાળા વિશે વિસ્તૃત અભ્યાસ કરનાર ડો. ગંભીરસિંહ સરવૈયાએ આ ચિત્ર પ્રદર્શની તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.


















Recent Comments